ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આજે નડિયાદ ખાતે ‘વિકાસ-સંકલ્પ’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષે પોતાના જિલ્લા પ્રવાસ દરમિયાન સવારે માતર તાલુકાના શેખુપુર ખાતે જનસંબોધન કર્યા બાદ નડિયાદના પીપલગ રોડ પર આવેલ યોગી ફાર્મના કેશવ કથા કુંજ ખાતે યોજાયેલી સભામાં ઉપસ્થિત રહી કાર્યકરોને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હતો.
આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષા ના મંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ તથા નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સભાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ૩૭૪ ઉમેદવારો કમળના પ્રતીક સાથે મેદાનમાં છે, જેમાંથી ૪૮ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તેમણે જણાવ્યું કે ભાજપના કાર્યકરો વર્ષના ૩૬૫ દિવસ અને ૨૪ કલાક પ્રજાની વચ્ચે રહી સેવા આપે છે.
તેમણે ગુજરાતમાં થયેલા વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે છેલ્લા ૨૫ વર્ષમાં રાજ્યમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે અને નડિયાદ પણ ગામડાની ઓળખમાંથી બહાર આવી મહાનગર તરીકે વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસ મોડલને અનુસરતા નડિયાદને વધુ આધુનિક અને સુવિધાસભર શહેર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સભામાં ઉપસ્થિત તમામ કાર્યકરો અને ઉમેદવારોએ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને આવનારી ચૂંટણીમાં જીત હાંસલ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel