ઈનરેકા સંસ્થા,
ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં પક્ષના કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સરકારે રાજકારણમાં શુદ્ધિકરણ અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા 130મું સંવિધાન સંશોધન બિલ રજૂ કર્યું છે, જેમાં ગંભીર ગુનાઓમાં ધરપકડ થાય તો પ્રધાનમંત્રી, મંત્રીઓ કે મુખ્યમંત્રીને હટાવવાની જોગવાઈ બિરદાવવા યોગ્ય છે. તેમણે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે રાજકારણમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે લડવું પડશે. તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ, ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયેલા 19 ગુનાઓનો ઉલ્લેખ કરી, પ્રજાને ગેરમાર્ગે દોરવાના આરોપોનો જવાબ આપવા અને સોશિયલ મીડિયા પર સાચી માહિતી પહોંચાડવા જણાવ્યું. આદિવાસીઓના પ્રશ્નો પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, સરકારે જંગલની જમીનો આપી છે, પરંતુ પેન્ડિંગ હક્કો તાત્કાલિક આપવા, નર્મદા અને ઉકાઈનું પાણી સાગબારા-ડેડીયાપાડા માટે ફાળવવું, અને 15 વર્ષથી પેન્ડિંગ ગંગાપુર ડેમનું નિર્માણ તાત્કાલિક શરૂ કરવા સરકારે પગલાં લેવા જોઈએ. તેમણે કાર્યકર્તાઓને સામૂહિક રજૂઆતો કરી હક્કો મેળવવા અને પ્રજાને સરકારના પ્રજાલક્ષી કાર્યો વિશે જાગૃત કરવા આહ્વાન કર્યું. યુવાનોને રોજગારલક્ષી સકારાત્મક દિશામાં વાળવા અને જિલ્લા-તાલુકા સંગઠનના આગેવાનો તથા પંચાયત સભ્યોને લોકો વચ્ચે જઈ સાચી માહિતી પહોંચાડવા પ્રેરણા આપી.
