અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય અને આકર્ષક ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષની શરૂઆત સાથે જ 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે 25 જાન્યુઆરી સુધી જનતા માટે ખુલ્લો રહેશે. આ વખતે ફ્લાવર શૉ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ 73,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયો છે. આ વિશાળ આયોજનમાં 48થી વધુ જાતિના અંદાજે 10 લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતીય હવામાનને અનુરૂપ હોય તે રીતે ખાસ પસંદ કરવામાં આવ્યા છે.
આ વર્ષની ફ્લાવર શૉની સૌથી મોટી વિશેષતા તેની થીમ છે— ‘ભારત એક ગાથા’. આ થીમ અંતર્ગત ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, પૌરાણિક વારસો તેમજ આધુનિક ભારતની વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી જીવંત રીતે રજૂ કરવામાં આવી છે. સમગ્ર પ્રદર્શનમાં 167થી વધુ અદ્ભુત સ્કલ્પચર્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં દિવાળી અને ગરબા જેવી યુનેસ્કો દ્વારા માન્ય ઇન્ટેન્જિબલ હેરિટેજની ઝલક ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. ફ્લાવર શૉને કુલ 6 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે.
LIVE: સાબરમતી રીવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2026નો શુભારંભ. https://t.co/zZvySZvMMb
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 1, 2026
પ્રથમ ઝોનમાં ભારતના વિવિધ તહેવારોનું સુંદર પ્રદર્શન છે, બીજા ઝોનમાં ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્યોની થીમ છે, જ્યારે ત્રીજા ઝોનમાં પૌરાણિક ભારતની કથાઓને ફૂલોથી રજૂ કરવામાં આવી છે. ચોથો ઝોન ખાસ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે ફાળવવામાં આવ્યો છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે તેમનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ અને ફૂલોથી બનેલું વિશાળ મંડાલા આર્ટ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. પાંચમા ઝોનમાં ભારતે અવકાશ, વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે, જ્યારે છઠ્ઠો ઝોન બાળકોના મનોરંજન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગરબા, મિશન 4 મિલિયન ટ્રી જેવા સામાજિક અભિયાનોની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે.
મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધા માટે AMC દ્વારા સીસીટીવી કેમેરા, રિયલ-ટાઇમ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ અને અલગ-અલગ ઝોન મુજબ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ માટે સ્કલ્પચર એજન્સી, સફાઈ કર્મચારી, ઇલેક્ટ્રિક અને પાણી વિભાગ સહિત ચાર હજારથી વધુ કર્મચારીઓ અને કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.
ટિકિટના દરની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 80 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે શનિ-રવિ અથવા જાહેર રજાના દિવસે 100 રૂપિયા રહેશે. 12 વર્ષથી નીચેના બાળકો, AMC સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ સંપૂર્ણ નિશુલ્ક છે, જ્યારે અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર 10 રૂપિયાની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. શાંતિથી અને ભીડ વગર નિહાળવા ઇચ્છતા મુલાકાતીઓ માટે 500 રૂપિયાની ‘પ્રાઇમ સ્લોટ’ ટિકિટની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ સમગ્ર ફ્લાવર શૉ પાછળ અંદાજે 14થી 15 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે, જોકે સ્પોન્સરશિપ અને સ્ટોલ્સ મારફતે AMCને નોંધપાત્ર આવક પણ થશે. સાથે જ આ આયોજનથી હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે અને અમદાવાદના પ્રવાસન તેમજ સ્થાનિક અર્થતંત્રને પણ મોટો વેગ મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel