રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી હોવાની વાત હમણાં ખુબ જ ચર્ચિત બની છે. જેમાં ત્રાકુડા ગામે પુર્વ તલાટી ધર્મેશ હાપલીયા દ્વારા સરકારી જમીનના નકલી હુકમ-સનદ અપાયા હતા. ગરીબોને ફાળવાયેલ પ્લોટની જમીનમાં ૧૦૦ ચોરસવારના પ્લોટ વર્ષ ૨૦૦૮ માં ગોંડલ ડેપ્યુટી કલેક્ટરે જમીન નીમ અંગે હુકમ કર્યો હતો. ફાળવાયેલ જમીન પ્લોટ ભૂમાફિયાઓએ બારોબાર વેંચી નાખ્યા હતા. જેનો સ્થાનિક ગ્રામપંચાયતમાં કોઈ રેકોર્ડ ન હોવાની વિગતો સામે આવી છે.
ભૂમાફિયાઓએ પ્લોટ ધારકોને ૮૦૦ થી ૯૦૦ વારના ભાવે જમીન વેચી અને પ્લોટની જાહેર હરાજી સ્થાનિકોએ કરી છતા વહીવટી તંત્ર આની કોઈ જાણ નથી અને આ બાબતની શંકા ન જાય એટલે પ્રતિ ચોરસ મીટર ૩૦૦ રૂપિયા લાંચ ઉપરી અધિકારીઓને આપ્યા હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. અને જો ખરેખર આવું જ હોઈ તો કૌભાંડમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓની પણ સંડોવણી હોઈ જ શકે.
ગોંડલ તાલુકા વિકાસ અધિકારી(TDO)ને આ બાબતે સવાલ કરતા ગોંડલ TDO મીલન ઉકાવાલા એ નિવેદન આપ્યું હતું કે, “ગોંડલમાં કોઈ નકલી તાલુકા પંચાયત નથી. બધા ડોક્યુમેન્ટ લઈને તપાસ કરવામાં આવી અને બોગસ ડોક્યુમેન્ટ બાબતે તપાસ કરાશે.” પણ પ્લોટ ફાળવણીના નકલી હુકમો ઘણું બધું કહી જાય છે. આ આખું કૌભાંડ વર્ષ ૨૦૨૩ માં આચરી સરકારી જમીન બારોબાર વેચી નાખી હતી. જો કે હવે રાજ્યના મહેસુલ વિભાગ અને લેન્ડ રેકોર્ડ વિભાગે પણ તપાસ કરે એ જરૂરી છે.
ગામના પૂર્વ તલાટી કમ મંત્રીને સાથે રાખીને ભેજા બાજોએ આ કૃત્ય કર્યું હતું. અહીં સૌથી મોટો સવાલ એ છે કે, સાચા લેટરપેડનો ઉપયોગ થયો કઈ રીતે ? આ તરફ હવે અધિકારીઓએ સાથ આપ્યો કે કેમ તેને લઈને ઉચ્ચકક્ષાએ તપાસ થવી જોઈએ. ત્રાકુડા ગામનાં તલાટી મંત્રી ભાવેશ ઉદ્દેશીએ પણ નિવેદન કરતાં કહ્યું કે, ત્રાકુડા ગામનો સર્વે નંબર-91 વર્ષે 2008થી બિનખેતી થયેલો છે. હુકમ અમારી કચેરીથી મળી આવ્યો છે. મુળ વાત તો તલાટી મંત્રી પણ મીડિયાને ગોળ ગોળ જવાબ આપે છે. આ બધી બાબતોની વચ્ચે સવાલો થાય કે આરોપીઓ પાસે તાલુકા પંચાયત કચેરીના અસલી લેટર પેડ આવ્યા ક્યાંથી? અને શું ખાલી તલાટી મંત્રીની ધરપકડ કરવાથી આ આખા કૌભાંડને છુપાવવાનો ખેલ તો નથી થઈ રહ્યો ને?