દિલ્હીના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં આવેલા વેલકમ વિસ્તારમાં આવેલી જનતા મજૂર કોલોનીમાં શનિવારની સવારે 7 વાગ્યે એક ચાર માળની જૂની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇમારત ધરાશાયી થતી વખતે અંદર અનેક લોકો હાજર હતાં, જેમાંથી ઓછામાં ઓછા 12 લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હોવાનું ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં બચાવ કાર્ય દરમિયાન 6 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અને તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે હજુ પણ અંદાજે 5 થી 6 લોકો કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થળ પર ફાયર ફાઈટર્સની 7 ગાડીઓ સાથે રાહત અને બચાવ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. સ્થાનિક પોલીસ તેમજ NDRF અને સિવિલ ડિફેન્સની ટીમો પણ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. જોકે સમગ્ર વિસ્તાર ગીચ વસતીથી ભરેલો છે અને શેરીઓ ખૂબ જ સાંકડી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે મશીનરી ઘટનાસ્થળે પહોંચી શકતી નથી, જેના કારણે મેન્યુઅલ સાધનો દ્વારા કાટમાળ હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
#WATCH | Delhi: Locals help in clearing the debris after a ground-plus-three building collapses in Delhi's Seelampur. 3-4 people have been taken to the hospital. More people are feared trapped. https://t.co/VqWVlSBbu1 pic.twitter.com/UWcZrsrWOb
— ANI (@ANI) July 12, 2025
ઘટનાનું ચોક્કસ કારણ હજુ સામે આવવું બાકી છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને પ્રાથમિક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમારત ઘણી જૂની અને જર્જરિત સ્થિતિમાં હતી. અનેકવાર લોકો દ્વારા મ્યુનિસિપલ કૉર્પોરેશનને ઈમારતની તાત્કાલિક દુરાવસ્થાની જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પગલાં લેવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં ચાંપતી સુરક્ષા ગોઠવવામાં આવી છે અને રાહત કાર્યને શક્ય તેટલું ઝડપી પૂરું કરવા તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે.