મહારાષ્ટ્રમાંથી આવતી એક મહત્વપૂર્ણ સંસ્કૃતિક જાહેરાતમાં, રાજ્ય સરકારે ‘સાર્વજનિક ગણેશોત્સવ’ને હવે આધિકારિક રીતે ‘રાજ્ય ઉત્સવ’ તરીકે જાહેર કર્યો છે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે 10 જુલાઈના રોજ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે 1893માં જાહેર રીતે ગણેશોત્સવની શરૂઆત કરી હતી, જે ઉત્સવ માત્ર ધાર્મિક ઊજવણી નહીં પરંતુ રાષ્ટ્રવાદ, સામાજિક એકતા, સ્વતંત્રતાની ભાવના અને જનસંવાદના માધ્યમ તરીકે પણ ઓળખાય છે. આ ઉત્સવની ઉજવણી મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ગૌરવ અને ઓળખ સાથે સંકળાયેલી છે.
आता गणेशोत्सव बनला महाराष्ट्रचा राज्योत्सव..! 🚩@Dev_Fadnavis #bjp #Maharashtra pic.twitter.com/NBC2abGkjG
— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) July 11, 2025
મંત્રીએ જણાવ્યું કે સરકારી સ્તરે હવે આ ઉત્સવને મજબૂત રીતે ઉજવવામાં આવશે અને રાજ્ય સરકાર આ પરંપરાને જાળવવા અને વધાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે વિતેલા સમય દરમિયાન કેટલીક વ્યકિતઓ દ્વારા કોર્ટે અરજીઓ કરીને અને તહેવારના આયોજનમાં કાયદાકીય અડચણો ઊભી કરીને આ લોકપરંપરાને પડકારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યની મહાયુતિ સરકાર—મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારના નેતૃત્વમાં—એ તમામ અવરોધોને ઝડપથી દૂર કર્યા અને સમાજના સાંસ્કૃતિક હિતોનું રક્ષણ કર્યું.
આ નિર્ણય સાથે મહારાષ્ટ્ર સરકારે સરકારી માન્યતા આપીને ‘ગણેશોત્સવ’ને રાજકીય-સાંસ્કૃતિક સ્તરે એક વિશિષ્ટ સ્થાન આપ્યું છે, જે રાજ્યની સમૃદ્ધ પરંપરાઓ અને સમુદાયિક ભાવનાનું પ્રતિબિંબ છે.