જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશાળ ધામધૂમ સાથે ઉત્સવનું આયોજન થવાનું છે. ખાસ કરીને આ વર્ષે મંડળ દ્વારા મૂષક પાલખી થીમ પર આધારિત ગણપતિ બાપ્પાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે પંઢરપુરના શ્રી વિઠ્ઠલ ભગવાન અને ચાંદીના ગણપતિની મૂર્તિ પણ સ્થાપિત થવાની છે. મૂષક પાલખી ઉપર વિશેષ રીતે સુશોભિત ગણેશજીની મૂર્તિ 26 ઓગસ્ટ, મંગળવારના રોજ સાંજે 6 વાગ્યે વાજતે ગાજતે કરવામાં આવેલી શોભાયાત્રા પછી પ્રતિષ્ઠિત થશે. આ શોભાયાત્રાનો પ્રારંભ ખંભાળીયા ગેઇટ વિસ્તારથી થશે અને હવાઈચોક, સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર માર્ગે પસાર થઈ ચાંદી બજાર વિસ્તારમાં પહોંચશે, જ્યાં તેનો સમાપન થશે. દર વર્ષે યોજાતી આ શોભાયાત્રામાં અનેક ભક્તો ઉત્સાહ અને શ્રદ્ધા સાથે જોડાય છે, જેમાં સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ સર્જાય છે.
મંડળ દ્વારા ગણપતિ દાદાની સ્થાપના બાદ રોજ સવારે અને સાંજે મહારાષ્ટ્રીયન મરાઠી આરતી યોજાશે. 31 ઓગસ્ટ, 2025ના રોજ સાંજે 8:30 વાગ્યે 151 દીવાના દીપોથી મહાઆરતી યોજાશે, ત્યારબાદ રાત્રે 10 વાગ્યે ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ યોજાશે. 2 સપ્ટેમ્બર, 2025ના રોજ હર્ષિદા ગરબા મંડળ દ્વારા રાત્રે 10 વાગ્યે ભજનનો કાર્યક્રમ યોજાશે. અંતિમ દિવસે, 6 સપ્ટેમ્બર, 2025ના રોજ ભવ્ય વિસર્જન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા બપોરે 12 વાગ્યે ચાંદી બજારથી પ્રારંભ થશે અને હવાઈચોક, એસટી રોડ, સાત રસ્તા થઈને વિશાલ હોટલની નજીક આવેલ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવશે.
શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ સમગ્ર કાર્યક્રમોમાં જામનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી ગણપતિ બાપ્પાની ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ વધુ ભવ્યતા સાથે ઉજવાઈ શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel