ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય રીતે યોજાય છે. આ વર્ષે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ (એસ.ટી.) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. કુલ 5500 વધારાની બસો દોડાવવામાં આવશે, જે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન અંબાજી તરફ વિવિધ રૂટ્સ પરથી સેવા આપશે. આ બસો મુખ્યત્વે અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય શહેરોને જોડશે. ઉપરાંત, નજીકના વિસ્તારોમાંથી આવનારા યાત્રાળુઓ માટે વિશેષ મીની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ગબ્બરથી અંબાજી RTO માટે 20 બસો, અંબાજીથી દાંતા માટે 15 બસો અને દાંતાથી પાલનપુર માટે 20 બસો ચાલુ કરવામાં આવશે.
યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમ દ્વારા 24×7 GPS મોનિટરિંગ સિસ્ટમ, પેસેન્જર શેડ, લાઇન અને ક્યુ મેનેજમેન્ટ, જાહેર શૌચાલય તેમજ પીવાના પાણીની સુવિધા ગોઠવવામાં આવી છે. આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે 4000 કર્મચારીઓની ટીમ સતત તૈનાત રહેશે, જેથી લાખો યાત્રાળુઓને સુરક્ષિત અને આરામદાયક સફરનો અનુભવ મળી શકે.
માત્ર પરિવહન જ નહીં, પરંતુ યાત્રાળુઓની સુરક્ષા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ પણ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ વર્ષે ટ્રસ્ટે યાત્રાળુઓ માટે ₹10 કરોડનો વીમો કવરેજ ઉપલબ્ધ કર્યો છે, જે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણો વધારે છે. આ વીમા હેઠળ કોઈ યાત્રાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવશે.
આ વીમાની ખાસિયત એ છે કે અંબાજી શક્તિપીઠના આસપાસ 50 કિલોમીટર વિસ્તારમાં થતા અકસ્માતોને આવરી લેવામાં આવ્યા છે. આ કવરેજ હેઠળ ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીક આવેલા 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આથી, દૂર-દૂરથી આવતા લાખો શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક યાત્રા સાથે સુરક્ષાનો પણ ભરોસો આપવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel