બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થતાં સમગ્ર બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાના રાજકારણમાં શોકની લાગણી ફેલાઈ છે. લાંબા સમયથી લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડાતી ખાલિદા ઝિયાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. BNPએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા જણાવ્યું હતું કે ફજરની નમાઝ બાદ સવારે લગભગ 6 વાગ્યે તેમનું અવસાન થયું. તેમના નિધનને બાંગ્લાદેશના રાજકારણના એક મહત્વપૂર્ણ અધ્યાયના અંત તરીકે જોવામાં આવી રહ્યું છે.
પડોશી દેશ સાથેના સંબંધોમાં સંવેદનશીલતા દર્શાવતા ભારતે પણ આ અવસરે મહત્વપૂર્ણ કૂટનીતિક સંદેશ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે, જે દર્શાવે છે કે રાજકીય મતભેદો હોવા છતાં ભારત પડોશી ધર્મ અને માનવીય સંવેદનાને પ્રાથમિકતા આપે છે. ભારતની આ હાજરીને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સામાજિક સંબંધોના પ્રતિબિંબ રૂપે જોવામાં આવી રહી છે.
ખાલિદા ઝિયાના અવસાન બાદ હવે BNPની રાજકીય કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં જશે. તેઓ અત્યાર સુધી પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. શેખ હસીનાના શાસનકાળ દરમિયાન કાનૂની કેસો અને જેલની સજાના ડરથી તારિક રહેમાન લાંબા સમય સુધી દેશ બહાર રહ્યા હતા, પરંતુ તાજેતરમાં લગભગ 17 વર્ષ બાદ તેઓ બાંગ્લાદેશ પરત ફર્યા છે.
ઉલ્લેખનીય છે કે ખાલિદા ઝિયાએ 30 મે, 1981ના રોજ પોતાના પતિ અને બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ ઝિયાઉર રહેમાનની લશ્કરી બળવાખોરીમાં થયેલી હત્યા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે સમય સુધી તેઓ એક ગૃહિણી તરીકે જીવન જીવી રહ્યા હતા, પરંતુ પતિના અવસાન પછી તેમણે BNPનું નેતૃત્વ સંભાળ્યું અને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે બાંગ્લાદેશના રાજકારણમાં મજબૂત સ્થાન બનાવ્યું. તેમના અવસાન સાથે જ ‘બેટલિંગ બેગમ્સ’ તરીકે ઓળખાતી ખાલિદા ઝિયા અને શેખ હસીનાની દાયકાઓ જૂની રાજકીય સ્પર્ધાનો એક યુગ પૂર્ણ થયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel