સુપ્રીમ કોર્ટે કિશોરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શાળાઓમાં સ્વચ્છ શૌચાલયોની અછત, યોગ્ય હાઈજીન સુવિધાઓનો અભાવ અને સેનિટરી નેપકિન જેવી પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ ન હોવી એ કિશોરીઓના શિક્ષણના અધિકાર, સમાનતાના અધિકાર તેમજ જીવન અને સ્વાસ્થ્યના મૌલિક અધિકારનું સીધું ઉલ્લંઘન છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે અવલોકન કર્યું કે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા સુધીની પહોંચ કોઈ દયા કે સુવિધા નહીં, પરંતુ ભારતીય બંધારણ હેઠળ સુરક્ષિત એક મૂળભૂત અધિકાર છે.
કોર્ટે સ્વીકાર્યું કે માસિક ધર્મ દરમિયાન પૂરતી અને સુરક્ષિત સુવિધાઓ ન મળવાના કારણે અનેક વિદ્યાર્થિનીઓને શાળા છોડવી પડે છે અથવા વારંવાર ગેરહાજર રહેવું પડે છે, જેના કારણે તેમનું ભવિષ્ય અને સમાન તકો ગંભીર રીતે પ્રભાવિત થાય છે. જસ્ટિસ પારડીવાલાએ જણાવ્યું કે શિક્ષણનો અધિકાર એક ‘મલ્ટિપ્લાયર રાઈટ’ છે, જે અન્ય તમામ માનવ અધિકારોને મજબૂત બનાવે છે. જો છોકરીઓ પાયાની સુવિધાઓના અભાવે શિક્ષણથી વંચિત રહે છે, તો તે તેમની ગરિમા અને આત્મવિશ્વાસ પર પણ ઘાતક અસર કરે છે.
આ મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ધોરણ 6થી 12 સુધીની વિદ્યાર્થિનીઓને ગુણવત્તાયુક્ત, ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન મફત આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે આ નેપકિન શાળાના શૌચાલયોમાં વેન્ડિંગ મશીન મારફતે અથવા નક્કી કરેલી સરળતાથી ઉપલબ્ધ જગ્યાએ રાખવામાં આવવા જોઈએ. આ સાથે જ દરેક શાળામાં ‘માસિક ધર્મ સ્વચ્છતા વ્યવસ્થાપન (MHM) કોર્નર’ બનાવવાનો નિર્દેશ આપ્યો છે, જ્યાં વધારાના યુનિફોર્મ, ઇનરવેર, ડિસ્પોઝેબલ બેગ અને અન્ય જરૂરી સામગ્રી ઉપલબ્ધ રહે.
કોર્ટે વધુમાં ભાર આપ્યો કે માત્ર સુવિધાઓ પૂરતી નથી, પરંતુ વિદ્યાર્થિનીઓ, શિક્ષકો અને શાળા સ્ટાફને માસિક ધર્મ સ્વચ્છતા અંગે જાગૃતિ અને તાલીમ આપવી પણ એટલી જ જરૂરી છે. આ ચુકાદો મધ્ય પ્રદેશ મહિલા કોંગ્રેસની નેતા જયા ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો કે માસિક ધર્મને કારણે શાળાથી દૂર રહેતી કોઈ પણ છોકરી તેમાં દોષી નથી, પરંતુ તેમને સુરક્ષિત, સ્વચ્છ અને સન્માનજનક વાતાવરણ પૂરુ પાડવાની જવાબદારી સમાજ અને વ્યવસ્થાની છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે માસિક ધર્મની સ્વચ્છતા સુધીની પહોંચ બંધારણની કલમ 21 હેઠળ જીવન, સ્વાસ્થ્ય, ગરિમા અને ગોપનીયતાના અધિકારનો અભિન્ન ભાગ છે. કોર્ટે જણાવ્યું કે આ અધિકારોની સાચી રક્ષા ત્યારે જ શક્ય છે જ્યારે કિશોરીઓને સુરક્ષિત અને સન્માનજનક માસિક ધર્મ વ્યવસ્થાપનની સંપૂર્ણ સુવિધા મળે. આ સાથે જ કોર્ટે સરકાર અને ખાનગી બંને પ્રકારની શાળાઓ પર સમાન જવાબદારી મૂકી છે અને દરેક શાળામાં જેન્ડર અનુસાર અલગ, સ્વચ્છ શૌચાલય, પૂરતું પાણી, સાબુ સાથે કાર્યરત હેન્ડવોશ સુવિધા તેમજ દિવ્યાંગ બાળકો માટે સુલભ શૌચાલય સુનિશ્ચિત કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel