વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે (18 જુલાઈ) બિહારના મોતિહારી પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી નીતીશ કુમારના વખાણ કર્યા હતા. ત્યારે વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, બિહારના મોતિહારીને મુંબઈની જેમ વિકસાવવામાં આવશે. જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ‘નૉર્વે અને ન્યૂઝીલેન્ડની વસતી કરતાં પણ વધુ PM આવાસ બિહારમાં બનાવામાં આવ્યા છે.’ ચાલો જાણે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં શું જણાવ્યું.
સંબોધનમાં વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ મોતિહારીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘આ ધરતી ચંપારણની ધરતી છે. આ ધરતીએ ઈતિહાસ બનાવ્યો છે. આઝાદીના આંદોલનમાં આ ધરતીએ ગાંધીજીને નવી દિશા બતાવી હતી. હવે આ ધરતીની પ્રેરણ બિહારનું નવુ ભવિષ્ય પણ બનાવશે.’
‘મુંબઈની જેમ મોતિહારીનું પણ નામ હશે…’
બિહારના વિકાસની વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ’21મી સદીમાં દુનિયા બહુ આગળ વધી રહી છે. એક સમયે જે તાકાત માત્ર પશ્ચિમી દેશો પાસે હતી, જેમાં હવે પૂર્વના દેશોનો પણ દબદબો અને ભાગીદારી વધી રહી છે. જેમાં પૂર્વના દેશો વિકાસની નવી રફતાર પકડી રહ્યા છે. આગામી સમયમાં મુંબઈની જેમ મોતિહારીનું પણ નામ હશે. પૂણેની જેમ પટનામાં પણ ઔધોગિક વિકાસ થશે. સંથાલ પરગણાનો પણ સુરતની જેમ વિકાસ થાય, જલપાઈગુડી અને જાજપુરમાં જયપુરની જેમ પર્યટનના નવા રેકોર્ડ બને અને વીરભૂમના લોકો પણ બેંગ્લોરની જેમ પ્રગતિ કરે.’
કોંગ્રેસને લઈને શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ કહ્યું કે, ‘જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ અને RJDની સરકાર હતી, ત્યારે UPAના 10 વર્ષમાં બિહારને ફક્ત 2 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. કેન્દ્રમાં આપણી સરકાર આવ્યા બાદ મે બિહારથી બદલો લેનારી જૂની રાજનીતિને જ સમાપ્ત કરી નાખી. છેલ્લા 10 વર્ષમાં NDAએ બિહારના વિકાસ માટે જે રકમ ફાળવી છે તે પહેલા કરતાં અનેકગણી વધુ છે. કોંગ્રેસ અને RJD ગરીબો, દલિતો, પછાત અને આદિવાસીઓના નામે રાજનીતિ કરતાં આવ્યા છે. ‘
બિહારમાં એકલામાં 60 લાખ ઘર બનાવાયા
પીએમ આવાસ યોજનાને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘છેલ્લા 11 વર્ષમાં પીએમ આવાસ યોજના હેઠળ દેશના ગરીબો માટે 4 કરોડથી વધુ ઘર બનાવાયા. જેમાંથી આશરે 60 લાખ ઘર માત્ર એકલા બિહારમાં બનાવામાં આવ્યા છે. એમાં પણ મોતિહારી જિલ્લામાં 3 લાખથી વધુ ગરીબ પરિવારોને પાકા મકાનો મળ્યા છે. ‘
તેમણે કહ્યું કે, ‘ચંપારણની ધરતી સાથેનો આપણા સંબંધો આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. રામ-જાનકી પથ, મોતિહારીના 70 ઘાટ, કેસરિયા, ચકિયા, મધુબનથી પસાર થશે. સીતામઢીથી અયોધ્યા સુધી બની રહેલી નવી રેલવે લાઇન થકી ભક્તો ચંપારણથી અયોધ્યા દર્શન માટે જઈ શકશે.’