રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શુક્રવારે જણાવ્યું હતું કે, કોઈપણ દેશની સફળતા માટે મહિલાઓનું સશક્તિકરણ અત્યંત જરૂરી છે. જૂની અને પછાત વિચારણા ધરાવતી પરંપરામાંથી મુક્ત કરવામાં આવશે. તે મહારાષ્ટ્રના સોલાપુરમાં ઉદ્યોગવર્ધિની નામના એક બિન-સરકારી સંગઠન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
મહિલાઓ કોઈ પણ સમાજનો અભિન્ન હિસ્સો
મોહન ભાગવતે જણાવ્યું કે, મહિલાઓ કોઈપણ સમાજનો અભિન્ન હિસ્સો હોય છે. પુરૂષ જીવનભર કામ કરે છે, મહિલા પણ જીવનભર કામ કરે છે. પરંતુ તેનાથી પણ વિશેષ તે આગામી પેઢીઓને પ્રેરણા આપે છે. બાળકોના મન અને સંસ્કાર માતાના સ્નેહમાં જ વિકસિત થાય છે. મહિલા સશક્તિકરણ માત્ર સમાજ માટે નહીં, પણ આખા દેશના વિકાસ માટે અનિવાર્ય છે. મોહન ભાગવતે જણાવ્યું કે, ઈશ્વરે મહિલાઓને એક વિશેષ શક્તિ આપી છે. જેનાથી તે એ કામ પણ કરી શકે છે, જે પુરૂષ નથી કરતાં. તેનામાં પુરૂષ જેવા તમામ ગુણો પણ છે. જેથી તે પુરૂષની સમોવડી થઈને કામ કરી શકે છે.
પુરૂષોની આ વિચારસરણી અહંકાર છે
વધુમાં ભાગવતે કહ્યું કે, પુરૂષોની આ વિચારસરણી કે, તેઓએ મહિલાને પ્રગતિ કરવા મંજૂરી આપી છે, તો તે અત્યંત અહંકારી વિચારસરણી છે. આવું વિચારવાની કોઈ જરૂર નથી. મહિલાઓને માત્ર સ્વતંત્રતા આપવી જોઈએ. તેમને પછાત પરંપરાઓથી મુક્ત કરાવવી જોઈએ અને જાતને વિકસિત કરવી જોઈએ. જ્યારે એક મહિલા આગળ વધે છે, તો આખા સમાજનો વિકાસ કરે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો સન્માનનીય છે.