અભ્યાસક્રમમાં અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર. માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ઘોઘા, પાલિતાણા, તળાજા અને સિહોર તાલુકાની લાભાર્થી શાળાઓનાં વિદ્યાર્થીઓને મુલાકાત સાથે મોજ પડે છે.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા સંચાલિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં રહેલ વિજ્ઞાન વિષય રમત સાથે સમજાઈ જાય તે માટે આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે. આ સંસ્થાનાં વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેનાં નેતૃત્વ સાથે વિજ્ઞાનને વ્યવહાર સાથે જોડી સમજવા માટે પ્રેરક અભિગમ રહેલો છે.
લોકવિદ્યાલય માઈધારમાં જૂન ૨૦૧૯થી આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર પ્રારંભ થયો, જે માટે હિરાલાલ ભગવતી સંસ્થા દ્વારા આર્થિક સહયોગ સાંપડ્યો, તેમજ આંતર રાષ્ટ્રીય સંસ્થા અગત્સ્ય દ્વારા માર્ગદર્શન મળ્યું છે. લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા અમલિકૃત આ કેન્દ્ર વિજ્ઞાનની સરળ રીત સમજાવે છે.
સંસ્થા પરિવારનાં ભાવનાબેન પાઠકનાં સંકલન માર્ગદર્શન સાથે આ લોકવિદ્યાલયમાં ઘોઘા, પાલિતાણા, તળાજા અને સિહોર તાલુકાની લગભગ ૭૫ કરતાં વધુ લાભાર્થી શાળાઓનાં ધોરણ ૬થી ૮નાં વિદ્યાર્થીઓને મુલાકાત સાથે મોજ પડે છે. દરરોજ આ શાળાઓ પૈકીની મુલાકાત લેવાતી રહે છે, જે વિદ્યાર્થીઓને અહીંયા ત્રણ વિભાગો અંતર્ગત સંયોજક વિપુલભાઈ ડાંગર સાથે સહસંયોજકો ઘનશ્યામભાઈ ગોહિલ તથા યુવરાજભાઈ સોલંકી સરળ ભાષામાં પ્રયોગો નિદર્શન સાથે સમજાવતાં રહે છે.
અહીંયા વિદ્યાર્થીઓ પોતાની જાતે પ્રયોગો કરી અનુભવ મેળવતાં રહે છે અને આ રીતે આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર અભ્યાસક્રમમાં અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે. આ રીતે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો સાથે લોકવિદ્યાલયમાં આખો દિવસ જ્ઞાન, ગમ્મત અને પ્રવાસનો લાભ લેતાં રહે છે.
રિપોર્ટ – મૂકેશ પંડિત (ભાવનગર)