દક્ષિણ ઈઝરાયેલના નેવાતિમ એરબેઝ ખાતે નવાનગર (હાલનું જામનગર)ના ભૂતપૂર્વ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાનું ઐતિહાસિક અનાવરણ થયું છે. આ પ્રતિમા તેમના માનમાં સ્થાપિત કરવામાં આવી છે, કારણ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પોલેન્ડના આશરે 1,000 બાળકોને, જેમાં અનેક યહૂદી બાળકો પણ સામેલ હતા, પોતાના રાજ્યમાં આશરો આપ્યો હતો. આ પ્રસંગે ભારતના રાજદૂત જેએપી સિંહ, પોલેન્ડના રાજદૂત તથા ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
પ્રતિમાના તળિયે લખાયું છે:
“નરસંહાર દરમિયાન તેમણે પોતાના સ્વખર્ચે અનેક યહૂદી બાળકોને બચાવ્યા, તેમને આશરો અને પ્રેમ આપ્યો.”
સાથે જ યહૂદી ધર્મગ્રંથ તલમુદનું વાક્ય અંકિત છે —
“જે એક જીવ બચાવે છે, તે આખી દુનિયાને બચાવે છે.”
આ પ્રતિમાનો કાર્યક્રમ સપ્ટેમ્બર 2024માં યોજાવાનો હતો, પરંતુ ગાઝા યુદ્ધના કારણે તે મુલતવી રહ્યો હતો. આખરે હવે ઇઝરાયેલે આ મહારાજાને સ્મરણાર્થ સમ્માનિત કર્યા.
A moving tribute at Moshav Nevatim 🇮🇳🤝🇮🇱
The statue of Maharaja Jam Saheb of Nawanagar (Gujarat) was unveiled in Nevatim honouring his exemplary compassion during World War-II. He adopted hundreds of Polish children including Jewish children and built a home for them in 1942… pic.twitter.com/MLKg9satnk
— India in Israel (@indemtel) November 11, 2025
જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજા, નવાનગરના અંતિમ શાસક, એક દયાળુ અને પ્રજાવત્સલ રાજવી તરીકે જાણીતા હતા. 1942માં, પોલેન્ડમાં થયેલા નાઝી અને સોવિયેત હુમલાઓ પછી હજારો અનાથ બાળકો ભટકતાં હતાં ત્યારે જામસાહેબે તેમને બાલાચડી (જામનગર) ખાતે આશરો આપ્યો હતો. તેમણે બાળકોને કહ્યું હતું —
“તમે ભલે મા-બાપ ગુમાવ્યા હોય, પણ આજથી હું તમારો પિતા છું.”
જામસાહેબે તેમના રહેવા, શિક્ષણ, આરોગ્ય અને ખોરાકની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. બાળકો તેમની ભાષા ન ભૂલે તે માટે પોલિશ ભાષાના શિક્ષકો અને પુસ્તકોની લાઇબ્રેરી પણ ઉભી કરાવી હતી. કેટલાક બાળકો માટે ખાસ પોલિશ રસોઈયા પણ રાખ્યા હતા.
વિશ્વયુદ્ધ પૂરુ થતાં આ બાળકો પરત પોલેન્ડ, બ્રિટન અને અમેરિકા ગયા, પરંતુ આજે પણ તેઓ પોતાના “બાપુસાહેબ”ને પ્રેમથી યાદ કરે છે. પોલેન્ડે તેમને “ગુડ મહારાજા” તરીકે સન્માનિત કર્યા છે અને વોર્સોવમાં તેમના નામે સ્મારક, શાળા અને “મહારાજા સ્ક્વેર” પણ બનાવ્યા છે. 2022માં તેમની યાદમાં એક ટ્રેન પણ શરૂ થઈ હતી.
હવે ઇઝરાયેલે પણ જામસાહેબના આ માનવતાવાદી કાર્યને સલામ આપી તેમની પ્રતિમા સ્થાપિત કરી છે — જે ભારતના અને ખાસ કરીને ગુજરાતના ઈતિહાસ માટે ગૌરવની બાબત છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel