કાશ્મીરને રેલવે નેટવર્કના માધ્યમથી દેશના અન્ય હિસ્સા સાથે જોડનારા કાશ્મીર રેલ પ્રોજેક્ટનું 6 જૂનના રોજ ઉદ્ધાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુના કટરાથી બનિહાલ ખીણ સુધી વંદે ભારત ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવશે. આ વંદે ભારત ટ્રેન રોજ કટરા અને ખીણ વચ્ચે દોડશે. આ ટ્રેન કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડવાનું સપનું પૂરું કરશે. ભારત ટૂંકસમયમાં રેલ દ્વારા જોડાશે.
આ પ્રોજેક્ટ કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડવાના 70 વર્ષ જૂના સપનાને સાકાર કરશે જે પ્રદેશમાં ખેતી-બાગાયતી, ઇન્ડસ્ટ્રી, શિક્ષણ અને પ્રવાસને વેગ આપશે. આ ટ્રેકના ઉદ્ધાટન પહેલાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જેના માટે સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વિશ્વના સૌથી ઊંચા બ્રિજ પર દોડશે ટ્રેન
અંજી નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ આઇકોનિક ચિનાબ રેલ બ્રિજ પર કટરા-બનિહાલ ટ્રેન દોડશે. વિશ્વના સૌથી ઊંચા બ્રિજ પર 272 કિમી ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલવે લાઇન (USBRL) કાશ્મીર ખીણને રેલ નેટવર્ક દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડશે. એક દિવસ બાદ ચેનાબ બ્રિજના ઉદ્ઘાટન સાથે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ જમ્મુ-કાશ્મીરના રેલ નેટવર્કને મજબૂત બનાવશે. વડાપ્રધાન મોદી ચિનાબ બ્રિજનું ઉદ્ધાટન કર્યા બાદ ભારતના પ્રથમ કેબલ સ્ટે રેલ બ્રિજ-અંજી ખડ બ્રિજ રૂટનું નિરિક્ષણ કરતાં કટરા સુધી ટ્રેનમાં મુસાફરી કરશે. તે રેલવે એન્જિનિયર્સની પણ મુલાકાત કરશે.
દાયકા પહેલાં થઈ હતી પ્રોજેક્ટની શરુઆત
USBRL પ્રોજેક્ટની શરુઆત 1997માં થઈ હતી. પરંતુ પ્રદેશમાં હવામાન, ભૌગોલિક પડકારો તેમજ જટિલ ભૂસ્તરના કારણે પ્રોજેક્ટમાં વારંવાર વિલંબ થયો હતો. પ્રોજેક્ટ પાછળ વિવિધ પડકારોના કારણે ખર્ચ રૂ. 41000 કરોડનો થયો છે. કુલ 272 કિમીમાંથી 209 કિમીનું કામકાજ તબક્કાવાર પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં કાઝીગુંડ-બારામુલ્લા (118કિમી) ઑક્ટોબર, 2009માં, બનિહાલ-કાઝીગુંડ (18કિમી) જૂન 2013માં, ઉધમપુર-કટરા (25 કિમી) જુલાઈ 2014માં, બનિહાલ-સંગલદાન (48.1 કિમી) ફેબ્રુઆરી 2023માં પૂર્ણ થયું હતું. છેલ્લે 46 કિમીનો સાંગલદાન-રિયાસી સેક્શનના કામકાજ જૂન, 2023માં પૂરાઅને 17 કિમીનું રિયાસી-કટરા ટ્રેક ડિસેમ્બર, 2024માં તૈયાર થયો હતો.