બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામાથી ગુજરાતમાં AAPના આંતરિક સંકટો ફરીથી સ્પષ્ટ થયા છે. 26 જૂન, ગુરુવારે ઉમેશ મકવાણાએ AAPના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને વિધાનસભામાં પાર્ટીના દંડક તરીકેના પદ પરથી રાજીનામું આપી દેવાયું છે, જોકે તેમણે ધારાસભ્ય પદ હજુ સુધી છોડી નથી. પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે પોતે આ નિર્ણય બોટાદની જનતાને પૂછીને લેશે અને પછાત વર્ગના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ શું આગળ કરવું તે નક્કી કરશે.
ઉમેશ મકવાણાએ પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલ તેઓ સામાજિક સેવા માટે પૂરતો સમય આપી શકતા નથી, અને એ જ કારણથી તમામ જવાબદાર પદો પરથી મુક્ત થવા માંગે છે. જોકે તેમણે પ્રાથમિક સભ્યપદ યથાવત રાખ્યું છે અને પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે કામ કરતા રહેશે એવી સ્પષ્ટતા કરી છે.
પ્રેસ કૉન્ફરન્સમાં ઉમેશ મકવાણાએ ભાજપ અને કોંગ્રેસની તો ટીકા કરી પણ સાથે પોતાની આમ આદમી પાર્ટીને પણ એ જ હરોળમાં મૂકી દીધી હતી અને વાતનો સાર એ હતો કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પાર્ટી પછાત વર્ગના નેતાઓને સ્થાન આપતી નથી અને માત્ર તેમનો ચૂંટણીમાં મત મેળવવા માટે ઉપયોગ કરે છે. પત્રકાર પરિષદમાં વારંવાર તેમણે આ બાબત પર ભાર મૂક્યો હતો.
Gujarat | Aam Aadmi Party's Botad MLA Umesh Makwana resigns from all party posts
The letter reads, "…At present, my social services are decreasing, so I am resigning from all the posts of Aam Aadmi Party. I will work for the party as a worker." pic.twitter.com/AUNlxfIvVj
— ANI (@ANI) June 26, 2025
તેમનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસે ક્યારેય આ સમાજો તરફ જોયું નથી પરંતુ આમ આદમી પાર્ટી પણ તેમાં પાછળ રહી ગઈ છે અને પોતે જે ઉદ્દેશ્યો સાથે આ પદો પર જોડાયા હતા, તેમાં કચાશ રહી જતી જણાય છે, એટલે પોતે રાજીનામું આપી રહ્યા છે. જોકે પાર્ટીના કાર્યકર્તા તરીકે ચાલુ રહેશે તેવી ચોખવટ પણ કરી હતી. સાથે કહ્યું કે ધારાસભ્ય પદ છોડવા વિશે બોટાદની જનતાને પૂછીને અને પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીને નિર્ણય કરશે. આ ઘટનાક્રમ પરથી એ સ્પષ્ટ છે કે ઉમેશ મકવાણા પાર્ટી પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીનાં પદ પરથી રાજીનામું આપવું એ પ્રથમ પગલું હોય શકે. પાર્ટી વિરુદ્ધ નારાજગી તેમણે જાહેર કરી જ દીધી છે અને સાથે સમાજનો મુદ્દો પણ લઈ આવ્યા છે, જેથી પાર્ટી પણ અવગણી શકે એમ નથી.
આ સ્થિતિ એટલી વધારે વેદનાદાયક છે કારણ કે માત્ર બે દિવસ અગાઉ જ વિસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની વિજય બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ અનુભવી રહી હતી. પાર્ટી કાર્યકર્તાઓ અને યુટ્યુબ સમર્થકોએ પણ આ જીતને “ગુજરાતમાં નવા યુગની શરૂઆત” તરીકે વ્યાખ્યાયિત કરી હતી. એ સ્થિતિમાં ઉમેશ મકવાણાનું રાજીનામું એ જીત પર પાણી ફેરવવા જેવું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel