નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને નડિયાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંબેડકર હોલ, પીજ રોડ, નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો. જેમાં, મોટી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને મહાનુભાવો જોડાયા અને કટોકટી સમયના પ્રસંગોને યાદ કરી બંધારણીય હકોની જાળવણી કરવા કટિબદ્ધ થયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કટોકટી સમયની પરિસ્થિતિઓ વિશે વાત કરી હતી. જેમાં, પૂર્વ સાંસદ અને મિસાવાસી ડો. કે. ડી. જેસવાણીએ આ સમયના પોતાના સહિત અનેક અગ્રણીઓના કારાવાસના અનુભવો અને તેના લીધે ઊભી થયેલ સામાજિક રાજકીય અસ્થિરતા વિશે વાત રજૂ કરી કટોકટીની ગંભીરતા વિશે સમજણ આપી હતી.
નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ કટોકટી સમય દરમિયાન લાદવામાં આવેલ ફરજિયાત નસબંધી, મીડિયા સ્વાતંત્ર્ય પર તરાપ, કારાવાસ સહિતની બાબતો જણાવી કટોકટીનો ટૂંકો ઇતિહાસ પ્રસ્તુત કર્યો હતો.
લીગલ એડવાઈઝર શ્રી રાકેશ રાવ દ્વારા ભારતીય બંધારણીય અધિકારો, વાણી સ્વતંત્રતા, કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ,મૂળભૂત અધિકારોનું રક્ષણ, સુધારાનો અવકાશ વગરે મહત્વપૂર્ણ બાબતો પર પ્રકાશ પાડી બંધારણના અધિકારો માટે જાગૃત રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કટોકટીનું ભારત અને આજના અમૃત ભારત વચ્ચેનો સરળ ભેદ સમજાવ્યો અને વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત કાર્યરત રહેવા સૌને અપીલ કરી હતી.
વધુમાં, બંધારણીય મહત્વને ઉજાગર કરવાના હેતુથી કાર્યક્રમ અંતર્ગત સંવિધાન હત્યા દિવસ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ અને નાટક પ્રસ્તુતિ નિહાળવામાં આવી હતી.
આ અવસરે બંધારણીય મૂલ્યોની સમજ આપતું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું. મહાનુભવોએ આ પ્રદર્શન નિહાળી ‘લોંગ લીવ ડેમોક્રેસી’ બોર્ડ પર સિગ્નેચર પણ કર્યા હતા.
કાર્યક્રમ માં માતર ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, પૂર્વ સાંસદ શ્રી ડૉ. કે.ડી. જેસવાણી, લીગલ એડવાઈઝર શ્રી રાકેશ રાવ, સરકારી વકીલ શ્રી ધવલ બારોટ, અગ્રણી શ્રી જાનવીબેન વ્યાસ, મનપા ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ, શ્રી રુદ્રેશ હુદડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, ડેપ્યુટી માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી સહિત અનેક મહાનુભાવો, અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો કાર્યકમમાં સહભાગી બન્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared