એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બની કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન સૌએ નિહાળ્યું.
ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે નાગરિકોને પ્રાસંગિક પ્રવચન, ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ નાટ્ય દ્વારા રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આપણાં દેશમાં ૫૦ વર્ષ પહેલાં દેશ અને સંવિધાન માટે ઝઝૂમેલા વીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટેનો આ દિવસ છે. નર્મદા જિલ્લાનો પાવન ધરતી પર વસેલો છે, માં નર્મદાના આશિર્વાદ જિલ્લાના નાગરિકો પર રહેલા છે. દેશમાં વર્ષ ૧૯૭૫માં સંવિધાનથી ઉપર જઈને રાજસત્તાધારીઓએ સંવિધાનની કલમ – ૩૫૨નો દૂરઉપયોગ કરી નાગરિકો પર જોહૂકમી ચલાવી તેના વિશે ઉપસ્થિત નાગરિકોને માહિતગાર કરવા, કટોકટિના સમયમાં દેશમાં સર્જાયેલી પરિસ્થિતિથી વાકેફ કરવા અને સંવિધાન જ સર્વોપરિ છે તેવું નાગરિકો સમજતા થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ કટોકટી દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું છે. તો આવો આપણે સૌ સાથે મળી સંવિધાન વિશે નાગરિકોને જાગૃત કરીએ અને વિકસીત ગુજરાતથી વિકસીત ભારતની દિશામાં આગળ વધીએ તેમ તેઓએ ઉમેર્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ભારત દેશમાં વર્ષ ૧૯૭૫માં આજના દિવસે તત્કાલિન સરકાર દ્વારા લોકશાહીને બાજૂએ રાખી દેશભરમાં આજના દિવસે કટોકટી લાગુ કરી હતી. કોઈપણ કારણ વિના બળજબરીથી સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકો-આગેવાનો અને નાગરિકોને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા. આ કટોકટીના સમયમાં લડત આપનારા, રાષ્ટ્રમાટે સમર્પિત અને જે લોકો તેમાં ભોગ બન્યા તે તમામને યાદ કરવા માટેનો આ દિવસ છે. કટોકટી લાગુ થવાથી દેશની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ હતી. તેથી જ લોકતંત્રને ટકાવી રાખવા અને વ્યક્તિ સ્વાતંત્રયના અધિકારોને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સૌ નાગરિકોને તેમાં સહભાગી બનવા તેઓએ આહવાન કર્યું હતું.
રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી મુખ્યમંત્રીશ્રીને પણ સૌએ ઓનલાઈન માધ્યમથી સાંભળ્યા હતા. કાર્યક્રમ બાદ એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઈનમાં સૌએ ભાગ લઈ બોર્ડ પર સહી કરી હતી અને કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન નિહાળ્યું હતું. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન તડવી, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, નાંદોદના પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, નાયબ કલેક્ટર, સંગઠનના અગ્રણીઓ, કાયદા નિષ્ણાંતો અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared
રિપોર્ટ – શૈશવ રાવ (નર્મદા )