યુવાનોમાં કૌશલ્યનાં મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી “મેરા યુવા ભારત – નર્મદા” દ્વારા આજરોજ ITI જીતનગર ખાતે વિશ્વ કૌશલ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓમાં નિપુણતાના માધ્યમથી આત્મનિર્ભર બનવાની ભાવના જગાવવાની સાથે દેશના વિકાસમાં તેમની ભાગીદારી પ્રત્યે આત્મવિશ્વાસ વધારવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ સમાજસેવી અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેમ્બર સેક્રેટરી ડૉ. પ્રેમપ્યારી તડવીએ અધ્યક્ષતા સંભાળી હતી. તેઓએ યુવાઓને વૈશ્વિક પ્રતિસ્પર્ધાના યુગમાં પોતાના કૌશલ્ય અને સ્થાનિક કુદરતી સંસાધનોના ઉપયોગ થકી રોજગાર સર્જનના વિવિધ માર્ગો સમજાવ્યા હતા. “AI અને ટેક્નોલોજીના યુગમાં પરંપરાગત કૌશલ્ય પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે, જો આપણે તેને ઉદ્યોગપ્રેરિત દૃષ્ટિકોણ સાથે અપનાવીએ” એમ તેઓએ ઉમેર્યું હતું.
મેરા યુવા ભારતના જિલ્લા યુવા અધિકારી પંકજ યાદવે ITIના તાલીમાર્થીઓને પ્રેરણાદાયી સંદેશો આપતાં જણાવ્યું કે, “તમે માત્ર નોકરી શોધનાર નહીં પણ નોકરી આપનાર પણ બની શકો છો. તમારા કૌશલ્યને રોજગારના સુસંગત સાધન રૂપે વિકસાવી દેશની વિકાસ યાત્રાનો હિસ્સા બનો તેવી હાકલ કરી હતી.”
કાર્યક્રમ બાદ “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાથે યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારી કેળવાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી માત્ર એક કાર્યક્રમ નથી, તે યુવાઓમાં છુપાયેલી ક્ષમતા અને કૌશલ્યને ઉજાગર કરીને તેમને આત્મવિશ્વાસથી સજ્જ કરી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા તરફ એક મજબૂત પગલું છે.
આ કાર્યક્રમમાં મેરા યુવા ભારત નર્મદાના પ્રોગ્રામ ઓફિસર ચંન્દ્રકાનત બક્ષી, ITIના સુપરવાઈઝર-ઈન્સ્ટ્રક્ટ, ITIના તાલીમાર્થીઓ તેમજ મેરા યુવા ભારત નર્મદાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.