ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનો મજબૂત બચાવ કરતા અમેરિકા અને યુરોપના બેવડા વલણ પર સવાલો ઉઠાવ્યા છે. ફિનલેન્ડમાં આયોજિત એક ઉચ્ચ સ્તરીય કાર્યક્રમ દરમિયાન તેમણે રશિયા પાસેથી ભારત દ્વારા કરવામાં આવતી ઓઇલ ખરીદી અંગે પશ્ચિમી દેશો દ્વારા કરવામાં આવતી ટીકા સામે સ્પષ્ટ અને તર્કબદ્ધ જવાબ આપ્યો હતો.
જયશંકરે જણાવ્યું કે ભારતે હંમેશાં પોતાના રાષ્ટ્રીય હિતો, ઊર્જા સુરક્ષા અને 140 કરોડથી વધુ નાગરિકોની જરૂરિયાતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. કોઈપણ દેશના રાજકીય અથવા વૈચારિક દબાણ હેઠળ ભારતે ક્યારેય પોતાના નિર્ણય લીધા નથી અને ભવિષ્યમાં પણ નહીં લે.
રશિયન ઓઇલ મુદ્દે અમેરિકાને સંભળાવ્યું
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે આજે જે દેશો ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ પ્રશ્નો પૂછે છે, એ જ દેશોએ વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતને રશિયન ઓઇલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું હતું.
તેમણે યાદ અપાવ્યું કે યુદ્ધ બાદ વૈશ્વિક ક્રૂડ ઓઇલ માર્કેટમાં ભારે અસ્થિરતા સર્જાઈ હતી. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો કાબૂમાં રહે અને સપ્લાય ચેઇન જળવાઈ રહે તે માટે અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને રશિયન ઓઇલ ખરીદવાનું ચાલુ રાખવા કહ્યું હતું.
પરંતુ ત્યારબાદ જ્યારે ભારતે પોતાના ઊર્જા હિતોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી આયાત વધારી, ત્યારે પશ્ચિમી દેશોએ ભારતની નીતિ પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું. આ મુદ્દે કટાક્ષ કરતા જયશંકરે કહ્યું કે પશ્ચિમનું આ વલણ “ઓન-ઓફ સ્વિચ” જેવું છે. જ્યારે તેમના હિતમાં હોય ત્યારે એક નીતિ યોગ્ય ગણાય અને જ્યારે હિત બદલાય ત્યારે એ જ નીતિ ખોટી ગણાવવામાં આવે.
‘ભારત આ રમત સારી રીતે સમજે છે’
જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત હવે વૈશ્વિક રાજકારણની આ રમત સારી રીતે સમજે છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નૈતિકતાની વાત કરનાર દેશો ઘણી વખત પોતાના હિતોને અનુકૂળ હોય ત્યારે જ સિદ્ધાંતોની વાત કરે છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લે છે અને ઊર્જા સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કોઈ બાહ્ય દબાણ સ્વીકારશે નહીં.
શા માટે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદી વધારી?
વિદેશ મંત્રીએ સમજાવ્યું કે વર્ષ 2022 પહેલાં ભારતની રશિયન ઓઇલ પર નિર્ભરતા ખૂબ ઓછી હતી. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વૈશ્વિક ઊર્જા બજારમાં આવેલા મોટા ફેરફારોને કારણે ભારતને નવા વિકલ્પો શોધવા પડ્યા હતા.
તેમણે જણાવ્યું કે યુરોપિયન દેશોએ મધ્ય પૂર્વમાંથી મોટા પ્રમાણમાં તેલ ખરીદવાનું શરૂ કર્યું, જે વિસ્તાર પરંપરાગત રીતે ભારત માટે મુખ્ય સપ્લાયર રહ્યો છે. પરિણામે ભારતીય બજાર માટે પુરવઠા અને કિંમત બંને બાબતોમાં પડકાર ઉભા થયા.
આ સ્થિતિમાં ભારતે સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ રશિયન ઓઇલ ખરીદવાનો નિર્ણય લીધો, જે દેશના આર્થિક હિતો અને ઊર્જા સુરક્ષા માટે જરૂરી હતો.
યુરોપને પણ અરીસો બતાવ્યો
કાર્યક્રમ દરમિયાન જ્યારે કેટલાક યુરોપિયન પ્રતિનિધિઓએ ભારત પર રશિયા પ્રત્યે નૈતિક સહાનુભૂતિ રાખવાનો આરોપ લગાવ્યો, ત્યારે જયશંકરે ખૂબ જ કડક અને સ્પષ્ટ જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું, “કોઈપણ યુરોપિયન દેશ પર ક્યારેય ભારતીય હથિયારો વડે હુમલો થયો નથી, પરંતુ કાશ હું ભારત વિશે યુરોપિયન હથિયારો અંગે પણ આવું કહી શકત.”
તેમણે વધુમાં ઉમેર્યું કે યુરોપના ઘણા દેશોએ વર્ષો સુધી એવા દેશોને હથિયારો વેચ્યા છે, જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતે ક્યારેય એવું કોઈ પગલું ભર્યું નથી જેનાથી યુરોપની સુરક્ષા અથવા હિતોને નુકસાન પહોંચે.
ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ પર ભાર
જયશંકરના નિવેદનને ભારતની સ્વતંત્ર અને સંતુલિત વિદેશ નીતિનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે અમેરિકા, રશિયા, યુરોપ અને મધ્ય પૂર્વના દેશો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખ્યા છે.
વિશ્લેષકોના મતે, ફિનલેન્ડમાં આપેલા જયશંકરના નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે ભારત વૈશ્વિક દબાણો સામે ઝૂકવાને બદલે પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપવાની નીતિ પર અડગ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel