જમ્મુ-કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મનોજ સિન્હાએ સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં અગાઉ બંધ કરાયેલા 14 મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોને તાત્કાલિક અસરથી ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ગત વર્ષે પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલા પછી સુરક્ષાના કારણોસર આ સ્થળો બંધ કરવામાં આવ્યા હતા.
આતંકી હુમલા બાદ લેવામાં આવ્યો હતો નિર્ણય
22 એપ્રિલના આતંકી હુમલામાં 25 પ્રવાસીઓ સહિત કુલ 26 લોકોના મોત થયા હતા, જેના પગલે સુરક્ષા એજન્સીઓએ પ્રવાસન સ્થળો પર કડક નિયંત્રણ લાદ્યા હતા. હવે તાજેતરની સુરક્ષા સમીક્ષા અને વ્યવસ્થાઓની ચકાસણી બાદ ફરીથી પ્રવાસન પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
કાશ્મીરમાં 11 અને જમ્મુમાં 3 સ્થળો ફરી ખુલ્યા
ઉપરાજ્યપાલ કાર્યાલયના નિવેદન મુજબ, સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કર્યા પછી કુલ 14 સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. તેમાં કાશ્મીર વિભાગના 11 અને જમ્મુ વિભાગના 3 પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.
ફરી ખુલેલા મુખ્ય પ્રવાસન સ્થળો
બડગામ જિલ્લો: યુસમર્ગ, દૂધપથરી
શ્રીનગર: અસ્તાનપોરા, ટ્યૂલિપ ગાર્ડન
શોપિયાં: પીર કી ગલી, દુબજન, પદપાવન
ગંદરબલ: થાજવાસ ગ્લેશિયર, હંગ પાર્ક
કોકરનાગ: દાંડીપોરા પાર્ક
બારામુલા: વુલર / વટલાબ
રિયાસી જિલ્લો: દેવી પિંડી
રામબન: માહૂ મંગત
કિશ્તવાડ: મુગલ મેદાન
પ્રશાસને જણાવ્યું છે કે હવામાન અને બરફની સ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય કેટલાક સ્થળો પણ તબક્કાવાર રીતે ખોલવામાં આવશે. કાશ્મીર વિભાગના ગુરેઝ, અથવાટૂ અને બંગુસ તેમજ જમ્મુ વિભાગના રામકુંડને બરફ દૂર થયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની યોજના છે.
આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રને ફરી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ જૂન મહિનામાં પહેલગામના કેટલાક વિસ્તારો સહિત 16 સ્થળો અને સપ્ટેમ્બરમાં અરુ ઘાટી તથા કમાન પોસ્ટ જેવા 7 સ્થળો તબક્કાવાર રીતે ખોલવામાં આવ્યા હતા. સુરક્ષા મજબૂત બનાવતા પ્રવાસીઓનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel