જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ્વરી સોસાયટી અને નૂતનનગર સહિતની હિંદુ બહુમતી વસ્તી ધરાવતી સોસાયટીઓના રહિશોએ શુક્રવારે મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપ્યું હતું. સ્થાનિકોએ વિસ્તારમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ‘અશાંતધારો’ (ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ) લાગુ કરવાની માંગ કરી હતી. તેમની રજૂઆત મુજબ આ વિસ્તાર પરંપરાગત રીતે શ્રમિક વર્ગનો છે અને અહીં સંપૂર્ણપણે હિંદુ પરિવારો વસે છે. જો અહીં અન્ય મજહબના લોકો દ્વારા મકાનોની ખરીદી શરૂ થશે તો રહેણી-કરણી, સામાજિક સંવાદ અને ધાર્મિક તહેવારો દરમિયાન અવરોધો ઊભા થવાની શક્યતા છે, જેના કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે અને અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
સ્થાનિકોએ એક ખાસ કેસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગીતાબેન જીતુભાઈ સોલંકીનું મકાન લોન ડિફોલ્ટના કારણે હાઉસિંગ ફાઇનાન્સ કંપની દ્વારા સીલ કરવામાં આવ્યું હતું અને હવે તે મકાન અલ્પસંખ્યક સમુદાયના ખરીદદારને વેચવાની તૈયારી થઈ રહી છે, જેને તેઓ વિસ્તારની ડેમોગ્રાફી બદલવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ચાર વર્ષથી આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
બજરંગ દળના કાર્યકર્તા વિપુલ આહિરે જણાવ્યું હતું કે, “શ્રમિક વર્ગના લોકો રોજગાર છોડીને ન્યાય માંગવા માટે રસ્તા પર ઉતર્યા છે. જો વહેલી તકે અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય નહીં લેવાય તો આવનારા દિવસોમાં જફર મેદાનમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.” સ્થાનિક રહિશોએ વધુમાં જણાવ્યું કે વિસ્તારની હિંદુ બહેનો અને દીકરીઓની અવરજવરમાં મુશ્કેલીઓ વધી રહી છે અને સામાજિક તણાવનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. તેમણે તંત્રને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તેમની માંગ સંતોષકારક રીતે પૂરી નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel