29 ઑગસ્ટે ભુવનેશ્વરમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ‘અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન’નું ઉદ્ઘાટન કરશે. બે દિવસીય આ સંમેલનમાં દેશભરના 120થી વધુ પ્રતિનિધિઓ એકત્ર થશે, જેમાં ખાસ કરીને ગુજરાતના 8 ધારાસભ્યો – 3 અનુસૂચિત જાતિ (SC) અને 5 અનુસૂચિત જનજાતિ (ST)ના સભ્યો – ભાગ લેશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ SC-ST સમુદાયના કલ્યાણ, સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે સંસદીય તેમજ વિધાનસભાની સમિતિઓની ભૂમિકા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાનો છે.
કાર્યક્રમમાં ઓમ બિરલા દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન અને સ્મૃતિસૌવેનિરનું વિમોચન પણ કરવામાં આવશે. આ અવસર પર ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, કેન્દ્રીય મંત્રી જ્યુઅલ ઓરમ અને ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ અને સંસદીય સમિતિના અધ્યક્ષ ફગનસિંહ કુલસ્તે સહિતના અનેક અગ્રણીઓ હાજરી આપશે. ગુજરાતના ધારાસભ્યો આ મંચ પરથી રાજ્યના અનુભવ, પડકારો અને સફળતાઓ રજૂ કરશે તથા અન્ય રાજ્યો સાથે શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન પણ કરશે.
સંમેલન દરમ્યાન 2047 સુધી વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે SC-ST સમુદાયને આપવામાં આવેલી બંધારણીય સુરક્ષાઓ, કલ્યાણકારી નીતિઓના અસરકારક અમલ, જવાબદારી નિર્ધારણ અને સ્થાનિક સ્તરે સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર વિચારવિમર્શ થશે. આ સંમેલનની વિશેષતા એ છે કે 1976માં દિલ્હીમાં પહેલીવાર આવું સંમેલન યોજાયું હતું અને ત્યારબાદ 1979, 1983, 1987 અને 2001માં પણ યોજાયું હતું. જોકે, આ વખતે પહેલીવાર નવી દિલ્હીની બહાર, ભુવનેશ્વરમાં આ સંમેલન યોજાઈ રહ્યું છે, જેને કારણે તેનું ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ વધુ વધી ગયું છે. આ મંચ માત્ર વિચારવિમર્શ માટેનું નથી, પરંતુ સમગ્ર દેશના વિવિધ રાજ્યોને SC-ST સમુદાયના સર્વાંગી વિકાસ માટે એકસાથે કામ કરવાની પ્રેરણા આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel