આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે, કારણ કે તેમની જામીન અરજી પર આજે (28મી ઓગસ્ટે) ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ તે શક્ય બની નહોતી. હાઈકોર્ટમાં વકીલોની હડતાળ ચાલુ હોવાથી સુનાવણી મુલતવી રાખવી પડી. ચૈતર વસાવાની જામીન અરજી પર હવે આગળના દિવસોમાં સુનાવણી થશે, પરંતુ હાલ તેઓ જેલમાં જ રહેશે.
ચૈતર વસાવા પર લગાવાયેલા આરોપો નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં બનેલા બનાવ સાથે જોડાયેલા છે. 5મી જુલાઈએ ATVT (આદિજાતિ વિકાસ કચેરી) ખાતે યોજાયેલી સંકલન બેઠક દરમિયાન તેમનો ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તણાવ બાદ પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે મારામારી સુધી વાત પહોંચી. આ બનાવને પગલે સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી. ત્યારથી તેઓ જેલમાં બંધ છે.
ઘટનાની ગંભીરતા એ હતી કે આ વિવાદ માત્ર રાજકીય ટકરાવ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તે બેઠકમાં હાજર અન્ય અધિકારીઓ અને કાર્યકરોની વચ્ચે હંગામો સર્જાઈ ગયો હતો. પોલીસે ચૈતર વસાવાને કસ્ટડીમાં લેતા તેમના સમર્થકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને પોલીસે તેમને કાબૂમાં લેવા માટે કડક પગલાં ભર્યા.
ચૈતર વસાવાના સમર્થકોનો દાવો છે કે આ કેસ રાજકીય સડયંત્રનો એક ભાગ છે અને ભાજપ પ્રભાવિત વિસ્તારમાં AAPના વધતા પ્રભાવને દબાવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ સંજય વસાવા અને તેમના સમર્થકો આ બનાવને ગંભીર હુમલો ગણાવી રહ્યા છે અને આરોપી ધારાસભ્ય સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે.
હાલમાં, હાઈકોર્ટમાં વકીલોની હડતાળને કારણે જામીન અરજી પર સુનાવણી ન થતાં ચૈતર વસાવાને વધુ સમય સુધી જેલમાં જ રહેવું પડશે. હવે આગળની સુનાવણી ક્યારે થશે તે અંગે સ્પષ્ટતા નથી, પરંતુ આ મુદ્દો રાજકીય દ્રષ્ટિએ દેડિયાપાડા અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel