નેપાળમાં ભ્રષ્ટાચાર, નોકરીની અછત અને વધતી નાણાકીય અસમાનતાને લઈને લાંબા સમયથી ઉકળતા જન આક્રોશે 4 સપ્ટેમ્બર, 2025ના રોજ સરકાર દ્વારા 26 લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ અને એક્સ જેવી સેવાઓ પર લગાવાયેલા આ પ્રતિબંધથી ખાસ કરીને યુવાનોમાં ભારે રોષ ફેલાયો, કારણ કે આ પ્લેટફોર્મ્સ તેમના માટે માત્ર મનોરંજન અને સમાચાર મેળવવાનું માધ્યમ જ નહોતું, પરંતુ રોજગાર અને વ્યવસાય માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાધન હતું. આ નિર્ણય સરકાર વિરુદ્ધ પહેલેથી જ ચાલી રહેલા આક્રોશમાં ઘી વાળી નાખવા જેવો સાબિત થયો.
8 સપ્ટેમ્બર, 2025થી કાઠમંડુ સહિતના શહેરોમાં યુવાનોના નેતૃત્વમાં ભવ્ય પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. મૈતીઘર અને નવ બાનેશ્વર જેવા વિસ્તારોમાં હજારો પ્રદર્શનકારીઓ એકઠા થઈને સૂત્રોચ્ચાર કરતાં સંસદ ભવન તરફ વધ્યા. પોલીસે તેમને અટકાવવા ટીયર ગેસ, પાણીની તોપ, રબર બુલેટ અને કેટલાક કિસ્સામાં લાઈવ ગોળીઓનો પણ ઉપયોગ કર્યો. પ્રદર્શનકારીઓ વધુ ઉગ્ર બનતાં રાષ્ટ્રપતિ ભવન, સુપ્રીમ કોર્ટ અને કેટલાક મંત્રીઓના નિવાસસ્થાનો પર હુમલો કરીને આગ લગાવી દીધી. આ અથડામણોમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા અને સૈંકડો ઘાયલ થયા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ.
કાઠમંડુ જિલ્લા પ્રશાસનએ તાત્કાલિક રાજધાનીના રિંગ રોડ વિસ્તારમાં અનિશ્ચિત મુદત માટે કર્ફ્યુ લાદી દીધો. પોલીસ દ્વારા સિંઘા દરબાર, નવ બાનેશ્વર અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા, પરંતુ પ્રદર્શનકારીઓએ આ બેરિકેડ્સ તોડી નાખી સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ અણઘડ બનતાં 10 સપ્ટેમ્બર, 2025ના રોજ નેપાળ આર્મી મેદાનમાં ઉતરી અને રાજધાની સહિતના મુખ્ય વિસ્તારોની સુરક્ષા પોતાની જવાબદારી હેઠળ લીધી. આર્મીએ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો કબજો મેળવી લેતાં અનેક આંતરિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થવી પડી. આર્મીએ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે કેટલીક શક્તિઓ હાલની પરિસ્થિતિનો ગેરલાભ લઈ રહી છે અને સામાન્ય નાગરિકો તથા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહી છે, જેને અટકાવવા સેનાને કડક પગલાં લેવા પડશે.
વધતા દબાણ અને હિંસક પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ 9 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજીનામું આપી દીધું. તે પહેલાં જ ગૃહમંત્રી તથા અન્ય કેટલાંક મંત્રીઓ અને સાંસદો પોતપોતાના પદેથી રાજીનામાં આપી ચૂક્યાં હતાં. રાજીનામું આપતા એક દિવસ પહેલાં ઓલીએ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હતી, પરંતુ તે સમય સુધી પ્રદર્શન એટલા ઉગ્ર બની ગયા હતા કે આ નિર્ણયનો કોઈ અસરકારક પ્રભાવ જોવા મળ્યો નહીં.
ભારતે તાત્કાલિક પગલાં લેતાં પોતાના નાગરિકોને નેપાળ પ્રવાસ ટાળવા માટે માર્ગદર્શન આપ્યું અને ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારી દીધી. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બોર્ડર ચેકિંગ કડક કરી દેવામાં આવ્યું છે. રશિયા સહિતના અનેક દેશોએ નેપાળમાં શાંતિપૂર્ણ સમાધાન માટે અપીલ કરી છે અને આ સંકટને સંવાદ અને લોકશાહી માર્ગે ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હાલ નેપાળ સંપૂર્ણ રાજકીય અનિશ્ચિતતાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને સામાન્ય નાગરિકો ડર અને ભય વચ્ચે જીવન વિતાવી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel