આસામના ડિબ્રુગઢ જિલ્લાના મોરન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-2) પર બનાવવામાં આવેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું આવતીકાલે, 14 ફેબ્રુઆરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ખાસ એરસ્ટ્રીપ પરંપરાગત એરપોર્ટ જેવી નથી, પરંતુ ઇમરજન્સી પરિસ્થિતિઓમાં લડાકુ અને પરિવહન વિમાનોને લેન્ડિંગ અને ટેક-ઓફ માટે તૈયાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે પ્રધાનમંત્રી પોતે ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ વિમાનમાં આવીને 4.2 કિલોમીટર લાંબી આ એરસ્ટ્રીપ પર ઉતરશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે.
આ પ્રોજેક્ટને ભારતની રક્ષણાત્મક તૈયારી માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં યુદ્ધ, કુદરતી આપત્તિ અથવા અન્ય ઇમરજન્સી પરિસ્થિતિઓમાં જ્યારે પરંપરાગત એરબેઝ ઉપલબ્ધ ન હોય, ત્યારે હાઇવે આધારિત રનવે સૈનિકો અને સાધનોની ઝડપી હિલચાલ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ઉત્તરપૂર્વ ભારત વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ વિસ્તાર હોવાથી અહીં આવી સુવિધા દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનાની શક્તિ અને કૌશલ્યનું ભવ્ય પ્રદર્શન પણ યોજાશે. એક રાફેલ અને એક સુખોઈ-30 ફાઇટર જેટ આ એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરીને હાઇવે રનવેની ક્ષમતા દર્શાવશે. ત્યારબાદ ડોર્નિયર વિમાન ટેક-ઓફ કરશે. મુખ્ય આકર્ષણ તરીકે C-130J સુપર હર્ક્યુલસનું લેન્ડિંગ થશે જેમાં PM મોદી હાજર રહેશે. ઉપરાંત ફ્લાય-પાસ્ટ અને ‘ટચ એન્ડ ગો’ ડ્રિલ્સ દ્વારા સુખોઈ અને રાફેલ વિમાનો ઝડપી કામગીરીનું પ્રદર્શન કરશે, જ્યારે AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ ઇમરજન્સી ઓપરેશનની તૈયારી બતાવશે. વાયુસેનાના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ‘ધ્રુવ’ દ્વારા કેઝ્યુઅલ્ટી ઇવેક્યુએશન ડ્રિલ પણ યોજાશે.
આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર, માર્ગ પરિવહન મંત્રાલય અને ભારતીય વાયુસેનાના સંયુક્ત પ્રયાસોથી પૂર્ણ થયો છે. આ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નહીં પરંતુ ભારતની વધતી લશ્કરી તૈયારી, આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મક શક્તિનો સંદેશ આપે છે. આવતીકાલનો કાર્યક્રમ ઉત્તરપૂર્વ ભારતમાં ભારતની સુરક્ષા ક્ષમતાનું પ્રદર્શન કરશે અને રાષ્ટ્રીય સુરક્ષાને નવી મજબૂતી આપશે તેવી અપેક્ષા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel