નવસારીના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8મી માર્ચના રોજ આગમન થનાર છે ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પણ હાજર રહ્યા હતા. DGP સહાયે કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા અંગે વિશેષ સૂચનાઓ આપી. તેમણે સભા સ્થળે આવનારા દરેક વ્યક્તિની યોગ્ય તપાસ માટે વધુ મેટલ ડિટેક્ટર્સ મૂકવાનું સૂચન કર્યું. બંદોબસ્તમાં મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારવા પણ જણાવ્યું. કાર્યક્રમમાં લાખથી વધુ લોકોની હાજરીની સંભાવના છે. આ કારણે DGPએ ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવાની સૂચના આપી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષાની કોઈ કચાશ ન રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાંથી એક લાખ બહેનો આવનાર હોય તેઓને લાવવા-લઈ જવા માટે ખાસ બસની વ્યવસ્થા, ફૂડ પેકેટની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. તો બોર્ડના વિધાર્થીઓને પરીક્ષામાં કોઈ અડચણ ન થાય તેના માટે પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવનાર છે.