કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ પંચાયતના પેટા વિભાગ, દેડિયાપાડા દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યો.
નર્મદા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકસુખાકારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગસુવિધાઓને વધુ સલામત અને નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા દેડિયાપાડા તથા સાગબારા તાલુકામાં સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં વિવિધ માર્ગ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા.
માર્ગ અને મકાન વિભાગ પંચાયતના પેટા વિભાગ, દેડિયાપાડા દ્વારા હાથ ધરાયેલા આ કાર્યો અંતર્ગત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત કણબીપીઠા–દેવમોગરા રોડનું અંદાજિત રૂપિયા 8.43 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કાર્ય હાથ ધરાશે. આ બંને યોજનાઓ પૂર્ણ થતા સ્થાનિક નાગરિકોને રોજિંદી અવરજવર વધુ સુગમ બનશે અને ગ્રામ્ય વિસ્તારોના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. સાથો સાથ આદિવાસી સમાજના કુળદેવી પાંડોરી માતા-દેવમોગરાના દર્શનાર્થે આવતા ત્રણ રાજ્યોના શ્રદ્ધાળુઓને પણ મંદિર સુધી પહોંચવામાં વધુ સુગમતા રહેશે.
સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, “સરકાર લોકસુખાકારીને ધ્યાનમાં રાખીને વિવિધ વિકાસ કાર્યો અમલમાં મૂકી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોનો વિકાસ થવાથી ખેડૂતોને પોતાના પાક અને કૃષિ ઉત્પાદનો બજારો સુધી પહોંચાડવામાં સરળતા બની રહેશે. સાથે સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ સંસ્થાનો સુધી પહોંચવામાં સરળતા થશે અને ગ્રામજનોને આરોગ્ય, વ્યવસાય તથા રોજિંદી અવરજવરમાં પણ સુવિધા મળશે. આ પ્રોજેક્ટો પૂર્ણ થતાં ગામડાંઓને વધુ સુગમ માર્ગવ્યવસ્થા મળશે.”
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુસાર ‘ગ્રામ્ય ભારતના વિકાસ વગર રાષ્ટ્રનો વિકાસ અધૂરો છે.’ આ સંદેશાને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાત સરકાર દ્વારા ગામડાંમાં મજબૂત માર્ગ વ્યવસ્થાપન વિકસાવવાની દિશામાં અભૂતપૂર્વ કામગીરી હાથ ધરાઈ છે.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી ખાનસિંગભાઈ વસાવા, સભ્ય શ્રીમતી શકુંતલાબેન વસાવા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર આર.યુ.પટેલ, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંજયભાઈ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel