સુપ્રીમ કોર્ટે ભારતીય સંસદ ભવન અને અન્ય સરકારી તથા જાહેર સંસ્થાઓમાંથી સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના પોટ્રેટ અને તસવીરો હટાવવાની માંગ કરતી જાહેર હિતની અરજીને કડક શબ્દોમાં ફગાવી દીધી છે. કોર્ટે આ અરજીને “નકામી” ગણાવી હતી અને સાથે જ અરજદારને ભારે દંડ કરવાની પણ ચેતવણી આપી હતી. આ અરજી નિવૃત્ત IRS અધિકારી બાલસુંદ્રમ બાલમુરુગન દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે દલીલ કરી હતી કે સાવરકરના તૈલીચિત્રો જાહેર સ્થળોએ હોવું જાહેર હિતના વિરોધમાં છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન અરજદાર પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આવી અરજીઓ કોર્ટના કિંમતી સમયનો દુરુપયોગ છે. CJIએ કહ્યું, “આવી નકામી અરજીઓ જોઈને અરજદારની માનસિકતા સમજાય છે. તમે તમારી જાતને શું સમજો છો? કોર્ટનો સમય બગાડવાનો તમને કોઈ અધિકાર નથી.” બેન્ચે આ પણ ઉમેર્યું કે જાહેર હિત અરજીના નામે વ્યક્તિગત વિચારો કે વિવાદોને કોર્ટ સુધી લાવવાનું ચલન ખતરનાક છે.
કોર્ટે અરજદારને કડક ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો અરજી પાછી ખેંચવામાં નહીં આવે તો ₹1 લાખનો દંડ ફટકારવામાં આવશે. સાથે જ CJIએ ટિપ્પણી કરી હતી કે, “હવે તમે નિવૃત્ત થયા છો, તો નિવૃત્તિનો આનંદ માણો અને સમાજ માટે કોઈ સકારાત્મક અને રચનાત્મક કાર્ય કરો. આવા બિનજરૂરી મુદ્દાઓમાં કોર્ટનો સમય બગાડશો નહીં.” કોર્ટના આ કડક વલણ બાદ અરજદારે પોતાની અરજી પાછી ખેંચવાની તૈયારી દર્શાવી હતી.
અંતે, સુપ્રીમ કોર્ટે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી અને મામલાનો નિકાલ કર્યો. આ ચુકાદા સાથે કોર્ટએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે જાહેર હિત અરજીનો દુરુપયોગ સહન કરવામાં નહીં આવે અને આવા પ્રયાસો સામે કડક વલણ અપનાવવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel