સુરત માં 7 એપ્રિલે બનેલી ઘટનાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના નિવાસસ્થાને મહેસાણાના 2020ના જૂના કેસ સંદર્ભે પોલીસ વૉરન્ટની બજવણી કરવા પહોંચી હતી. આ ઘટનાને લઈને ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે તેમની ગેરહાજરીમાં પોલીસ દ્વારા તેમના પરિવાર, ખાસ કરીને માતા સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું.
આ ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા પર ‘ગોપાલ’ અને ‘જીતુ’ વચ્ચેની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેના કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ગોપાલ ઇટાલિયાએ આ ઓડિયો ક્લિપને સંપૂર્ણપણે AI દ્વારા બનાવેલી નકલી ગણાવીને ફગાવી દીધી હતી અને સમગ્ર મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર રાજકીય હેરાનગતિનો આરોપ મૂક્યો હતો.
‘પાપ છાપરે ચઢીને પણ પોકારે’
આ વચ્ચે હવે આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા પૂર્વ નેતા રાજુ કરપડાએ એક વિડીયો શેર કરીને ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે ગુજરાતીની કહેવત “પાપ છાપરે ચઢીને પણ પોકારે” નો ઉલ્લેખ કરતા કહ્યું કે પોલીસ પહોંચ્યા બાદ ઇટાલિયાએ ફેસબુક લાઈવ કરીને પરિવારના નામે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
કરપડાએ દાવો કર્યો કે થોડા જ સમયમાં એક ઓડિયો સામે આવ્યો જેમાં ‘જીતુભાઈ’ નામના વ્યક્તિ સાથેની વાતચીતમાં ધારાસભ્ય પોલીસ કાર્યવાહી અંગે અગાઉથી સ્ટ્રેટેજી બનાવતા હોય તેવો સંકેત મળે છે. તેમણે કટાક્ષ કર્યો કે જે લોકો AIનો દુરુપયોગ કરે છે, તે જ લોકો હવે આ ઓડિયોને AI જનરેટેડ ગણાવી રહ્યા છે.
આગળ તેમણે આક્ષેપ કર્યો કે જાહેર જીવનમાં રહેલા લોકો દ્વારા અસંસ્કારી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી. તેમણે રાજકીય રીતે લડવા માટે પારદર્શકતા અને ખુલ્લા મંચ પર ચર્ચાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો.
‘કટ્ટર ઈમાનદાર’ નેતાઓ હિસાબ આપે…
તેમણે આરોપ લગાવ્યો કે જેની પાસે 5 વર્ષ પહેલાં કંઈ જ નહોતું એવા ‘કટ્ટર ઈમાનદાર’ નેતાઓ આજે 50 લાખની ગાડીઓ લઈને આવે છે, 25,000ના બુટ પહેરે છે, 10,000ના કપડાં પહેરે છે, 5-5 લાખની ઘડિયાળો પહેરીને ગાડીઓમાંથી ઉતરે છે.
તેમણે પ્રશ્ન કર્યો કે, “આ આવક ક્યાંથી આવી તે ‘કટ્ટર ઈમાનદાર’ લોકોએ ગુજરાતની જનતાને કહેવું જોઈએ.” વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે જ્યાં સભાઓ હોય છે ત્યાં કરોડોનો ખર્ચ કરી, લાખો રૂપિયાનાં બેનર, પોસ્ટર, હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે, આ તો ગરીબ પાર્ટી છે તો એટલા રૂપિયા ક્યાંથી આવે છે એની પણ ચોખવટ કરવી જોઈએ.
તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ આવા લોકોને ઓળખવાની જરૂર છે જે રાજકીય રોટલા શેકવા, સહાનુભૂતિ મેળવવા પરિવારનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે આવા લોકો અત્યારે 2 વાત સારી બોલશે, લોકોને ઉશ્કેરવાનું કામ કરશે, પણ વાસ્તવમાં તેમની લડાઈથી કયા લોકોને ફાયદો થયો છે તે વિચારવા જેવી વાત છે.
કરપડાએ અંતે કહ્યું કે જો વાયરલ ઓડિયો ખરેખર AI દ્વારા બનાવેલો હોય તો કાનૂની કાર્યવાહી કરીને સત્ય જાહેર કરવું જોઈએ અને ‘જીતુભાઈ’ કોણ છે તે પણ સ્પષ્ટ કરવું જોઈએ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel