ગાઝા મુદ્દે યોજાયેલી ‘બોર્ડ ઑફ પીસ’ની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર દાવો કર્યો કે તેમણે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન સીઝફાયર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર તે સમયે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે તેમણે બંને દેશોને 200% ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી અને કોઈપણ પ્રકારની વેપારી સમજૂતી બંધ કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પના દાવા મુજબ આ જ ચેતવણીના પરિણામે સંઘર્ષ રોકાયો અને પરિસ્થિતિ કાબૂમાં આવી. તેમણે એવો પણ દાવો કર્યો કે 11 ફાઈટર જેટ તોડી પડાયા હતા અને તેમના હસ્તક્ષેપથી આશરે 2.5 કરોડ લોકોના જીવ બચી ગયા. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ સાથે સીધી વાતચીત કરી હતી.
આ નિવેદનો દરમિયાન બેઠકમાં હાજર શહબાઝ શરીફે ટ્રમ્પની પ્રશંસા કરતાં તેમને ‘દક્ષિણ એશિયાના રક્ષક’ અને ‘શાંતિના માણસ’ તરીકે સંબોધ્યા અને તેમના દાવાને સમર્થન આપ્યું. જોકે નોંધનીય છે કે ટ્રમ્પ પોતાના દાવાઓમાં આંકડાઓ બદલતા રહ્યા છે. અગાઉ તેઓ 350% ટેરિફની ધમકીની વાત કરી ચૂક્યા છે, જ્યારે હવે 200%નો ઉલ્લેખ કર્યો છે. તે જ રીતે ફાઈટર જેટ તોડી પડવાની સંખ્યા પણ પહેલાં 6, પછી 7 અને હવે 11 બતાવવામાં આવી રહી છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં સવાલો ઊભા થયા છે.
ભારત સરકારે અગાઉ આવા દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. જૂન 2025માં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન મુદ્દો સંપૂર્ણપણે દ્વિપક્ષીય પ્રક્રિયા દ્વારા ઉકેલાયો હતો અને ભારત કોઈ વિદેશી મધ્યસ્થી સ્વીકારતું નથી. બીજી તરફ, ટ્રમ્પની ટેરિફ નીતિની અમેરિકામાં પણ ટીકા થઈ રહી છે. અમેરિકી કોંગ્રેસના સભ્ય બ્રેડ શેરમનએ ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ સાથી ગણાવી ટ્રમ્પને ઘેરી લીધા હતા અને કહ્યું હતું કે ભારત પર ટેરિફ લગાવવા માટે બહાના શોધવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના આ તાજા નિવેદનોને લઈને દક્ષિણ એશિયા અને આંતરરાષ્ટ્રીય રાજકીય મંચ પર ફરી ચર્ચા તેજ બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel