ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખડે (Jagdeep Dhankhar) સોમવારે (21 જુલાઈ) સ્વાસ્થ્ય કારણોસર કાર્યકાળની વચ્ચે જ રાજીનામું (Resignation) આપી દીધું છે. 21 જુલાઈએ સાંજના સમયે આ સમાચાર સામે આવ્યા હતા. રાષ્ટ્રપતિને સંબોધીને તેમણે ત્યાગપત્ર આપ્યો છે. બંધારણની કલમ 67(a) હેઠળ ઉપરાષ્ટ્રપતિ દેશના રાષ્ટ્રપતિને પોતાના પદ પરથી રાજીનામું સોંપે છે. જોકે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હજુ સુધી રાજીનામાંનો સ્વીકાર નથી કર્યો. પરંતુ રાજીનામાંનો સ્વીકાર થયા બાદ દેશનું બીજું સૌથી મોટું બંધારણીય પદ ખાલી પડી જશે. આ સાથે રાજ્યસભાના કારભારમાં પણ તેની થોડી અસર પડી શકે છે.
ઉપરાષ્ટ્રપતિનું પદ દેશના બંધારણીય માળખામાં રાષ્ટ્રપતિ પછીનું બીજું સૌથી મહત્વપૂર્ણ પદ છે. જો ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળની વચ્ચે જ રાજીનામું આપી દે તો તેની અસર રાજ્યસભાના કાર્યકારી અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહત્વની હોય છે. જોકે, રાજ્યસભાના ઉપસભાપતિ ગૃહનો કારભાર સંભાળી લે છે. પરંતુ એ સમજવું જરૂરી છે કે, ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યા બાદ હવે શું થશે અને ચૂંટણી ક્યારે યોજાશે.
ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું બંધારણીય પ્રક્રિયા
બંધારણની કલમ 67(a) અનુસાર, ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને લેખિત રાજીનામું આપે છે, જે સ્વીકારાયાની ક્ષણથી ઉપરાષ્ટ્રપતિ ફરજમાંથી મુક્ત થઈ જાય છે. જગદીપ ધનખડે તેમના રાજીનામાંમાં જણાવ્યું છે કે, આરોગ્યની સમસ્યાઓ અને તબીબી સલાહને પ્રાથમિકતા આપવા માટે તેઓ આ પગલું ભરી રહ્યા છે. રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકારવામાં આવે ત્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ જાય છે અને રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની તેમની ફરજો પણ સમાપ્ત થઈ જાય છે.
ઇતિહાસ જોઈએ તો આવું ભૂતકાળમાં ફક્ત ત્રણ વખત જ બન્યું છે. અગાઉ વીવી ગિરિ (1969) અને આર. વેંકટરામને (1987) રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા માટે રાજીનામું આપી દીધું હતું. જોકે, ધનખડનું રાજીનામું આરોગ્યના કારણોસર છે, જે એક અસામાન્ય ઘટના ગણવામાં આવી રહી છે. કારણ કે, આવું હજુ સુધી કોઈ ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું ન હતું.
કોણ સંભાળશે જવાબદારી અને રાજ્યસભાનો કારભાર?
ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના પદસ્થ સભાપતિ (ચેરપર્સન) તરીકે કાર્ય કરે છે. તેમના રાજીનામા બાદ બંધારણની કલમ 91 અનુસાર, ઉપસભાપતિ (ડેપ્યુટી ચેરપર્સન) રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન કરે છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે પણ કાર્ય કરે છે અને રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજોનું પણ વહન કરે છે. હાલમાં રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંઘ છે, જેમણે ઑગસ્ટ 2022થી આ પદ સંભાળ્યું છે. તેઓ નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થતાં સુધી રાજ્યસભાનો કારભાર સંભાળશે. જો સ્થિતિ એવી આવીને ઊભી રહે કે, ઉપરાષ્ટ્રપતિનું પદ પણ ખાલી હોય તો રાજ્યસભાના સભ્યોમાંથી એક અસ્થાયી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. જોકે, આ કેસમાં એવી કોઈ સમસ્યા નથી.
ક્યારે યોજાશે હવે ચૂંટણી?
બંધારણની કલમ 68(2) અનુસાર, ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થયા બાદ શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજવી જરૂરી છે. રાષ્ટ્રપતિ પદ માટે બંધારણ અનુસાર, ખાલી પડેલી જગ્યાને 6 મહિનાની અંદર ભરી દેવી આવશ્યક છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ માટે આવી કોઈ સમયમર્યાદા નિશ્ચિત નથી. ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર કરશે અને આ પ્રક્રિયા સામાન્ય રીતે 1-2 મહિનામાં પૂર્ણ થઈ શકે છે. આ ચૂંટણી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અધિનિયમ 1952 હેઠળ આયોજિત કરવામાં આવે છે. પરંપરા અનુસાર, સંસદના કોઈપણ ગૃહના સેક્રેટરીને વારફરતી ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
વધુમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજીને નવા ઉપરાષ્ટ્રપતિ નિર્વાચીત થાય ત્યારથી તેમનો નવો કાર્યકાળ શરૂ થાય છે. સરળતાથી સમજીએ તો નવનિર્વાચિત ઉમેદવાર પદભાર ગ્રહણ કરવાની તારીખથી પૂરાં પાંચ વર્ષ સુધીનો કાર્યકાળ પૂર્ણ કરે છે, ન કે માત્ર ધનખડના કાર્યકાળનો શેષ ભાગ. આ રીતે કોઈપણ નવા ઉપરાષ્ટ્રપતિ આવનારા પાંચ વર્ષ સુધી પદભાર સંભાળે છે.
ચૂંટણી પ્રક્રિયા
ચૂંટણી મંડળ – ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના (લોકસભા અને રાજ્યસભા) સભ્યોના સંયુક્ત મતદાર મંડળ દ્વારા થાય છે. આ મંડળમાં 543 લોકસભા અને 245 રાજ્યસભાના સભ્યો, એટલે કે કુલ 788 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં ચૂંટાયેલા અને નામાંકિત સભ્યો બંનેનો સમાવેશ થાય છે.
મતદાન પદ્ધતિ – ચૂંટણીમાં ગુપ્ત મતદાન દ્વારા સિંગલ ટ્રાન્સફરેબલ વોટ (Single Transferable Vote) પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં સભ્યો ઉમેદવારોને પોતાની પસંદગીના ક્રમમાં મત આપે છે.
લાયકાત – ઉપરાષ્ટ્રપતિ બનવા માટે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ, 35 વર્ષથી વધુ ઉંમરની હોવી જોઈએ, કોઈપણ સંસદીય ક્ષેત્રમાં મતદાર તરીકે નોંધાયેલી હોવી જોઈએ અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતી હોવી જોઈએ. આ ઉપરાંત તે વ્યક્તિ અન્ય પદ પર ન હોવી જોઈએ અને કેન્દ્ર કે રાજ્ય સરકાર હેઠળના કોઈપણ પદ પર આસીન ન હોવી જોઈએ.
ચૂંટણીનું સંચાલન – ચૂંટણી ભારતના ચૂંટણી પંચ દ્વારા યોજાય છે અને રાજ્યસભાના સેક્રેટરી-જનરલ સામાન્ય રીતે રિટર્નિંગ ઓફિસર તરીકે કાર્ય કરે છે.