ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશ પર ચાલી રહેલા સરવે દરમિયાન ભડકેલી હિંસા હજુ પણ રાજ્યની કાનૂન-વ્યવસ્થાના દૃષ્ટિકોણે ગંભીર મુદ્દો બની રહી છે. આ હિંસક ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા હતા, જ્યારે અનેક પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તપાસ દરમિયાન આ સમગ્ર ઘટનાના માસ્ટરમાઇન્ડ તરીકે દુબઈમાં રહેતા કુખ્યાત ગેંગસ્ટર શારિક સાઠા (શરીક સાઠા)નું નામ સામે આવ્યું હતું. હવે કાયદાની કાર્યવાહી વધુ કડક બનતાં કોર્ટ દ્વારા તેની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
20 જાન્યુઆરી 2026ના રોજ કોર્ટ દ્વારા શારિક સાઠાની સંપત્તિ જપ્ત કરવા માટે વૉરન્ટ જારી કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ પહેલાં કોર્ટ દ્વારા તેને વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને બાદમાં CrPCની કલમ 84 હેઠળ પ્રોક્લેમેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ શારિક કોર્ટમાં હાજર થયો ન હતો. આ સંદર્ભે એએસપી કુલદીપ સિંહે જણાવ્યું હતું કે શારિક સાઠાના ઘરની જપ્તી માટેનો વૉરન્ટ પોલીસને મળી ગયો છે અને હવે એક વિશેષ ટીમ બનાવીને કાનૂની પ્રક્રિયા અનુસાર તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. સાથે જ આરોપી વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના બીજા તબક્કાના સરવે દરમિયાન પરિસ્થિતિ અચાનક તણાવપૂર્ણ બની હતી. આ મસ્જિદની જગ્યાએ ભગવાન વિષ્ણુનું હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેને લઈને કોર્ટ દ્વારા ASIને સરવે કરવાનો આદેશ અપાયો હતો. જ્યારે ASIની ટીમ સુરક્ષા સાથે સ્થળ પર પહોંચી, ત્યારે મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો, જે બાદમાં હિંસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટનામાં ગોળીબાર, આગચંપી અને પોલીસ અધિકારીઓને જીવતા સળગાવી દેવાના પ્રયાસો થયા હોવાના આરોપો પણ સામે આવ્યા.
પોલીસ તપાસ દરમિયાન પાકિસ્તાન અને અમેરિકા બનાવટની ગોળીઓ મળી આવતાં આ હિંસામાં વિદેશી કનેક્શન હોવાની શંકા વધુ મજબૂત બની હતી. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SITની રચના કરવામાં આવી હતી. SITની તપાસમાં શારિક સાઠાને આ હિંસાનો મુખ્ય કાવતરાખોર જાહેર કરવામાં આવ્યો. પોલીસ અનુસાર શારિક 2020થી દુબઈમાં ફરાર છે અને તેને ભારતનો સૌથી મોટો ઓટો લિફ્ટર માનવામાં આવે છે, જે દર વર્ષે આશરે 300 વાહનોની ચોરી કરાવતો હતો. તે ઉપરાંત હથિયારોની તસ્કરી, નકલી નોટો અને સોનાની તસ્કરી જેવા ગંભીર અપરાધોમાં પણ તેની સંડોવણી હોવાનું પોલીસનું કહેવું છે.
શારિક સાઠા વિરુદ્ધ દેશભરમાં 60થી વધુ કેસ નોંધાયેલા છે. પોલીસના આરોપ મુજબ, તેણે દુબઈમાં બેઠા બેઠા પોતાના સાથીઓને હથિયારો પૂરાં પાડ્યા હતા અને સંભલમાં હિંસા ભડકાવવાનું સમગ્ર કાવતરું રચ્યું હતું. આ કેસમાં તેના ત્રણ સાથીઓ ગુલામ, વારિસ અને મુલ્લા અફરોઝની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલ જેલમાં છે. સંભલ હિંસા કેસમાં હવે સંપત્તિ જપ્તીની કાર્યવાહી શરૂ થતાં આરોપીઓ પર કાનૂની શિકંજો વધુ કસાતો જઈ રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel