રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ અવસરે રાજ્યપાલે તમામ રાજ્યોના નાગરિકોને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને અહીં વસતા વિવિધ રાજ્યોના નાગરિકોએ રજૂ કરેલી કલાત્મક કૃતિઓ ભારતની એકતા અને વૈવિધ્યતાનું ઉત્તમ પ્રતિબિંબ છે.
રાજ્યપાલે ભારતીય સંસ્કૃતિના મૂળ સિદ્ધાંતો ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’નો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારત હંમેશા સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાથી પ્રેરિત રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ એક શક્તિશાળી સંદેશ આપે છે કે રાષ્ટ્રીય એકતા જ દેશની સૌથી મોટી તાકાત છે.
રાજ્યપાલે પોતાના સંબોધનમાં છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં થયેલા વ્યાપક વિકાસની ચર્ચા કરતા કહ્યું કે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોના નવીનીકરણથી ભારતની નવી ઓળખ ઊભી થઈ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા આઠ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, જે ભારતના આર્થિક અને સામાજિક ઉત્થાનનું સ્પષ્ટ ઉદાહરણ છે. રાજ્યપાલે સૌને દેશી ઉત્પાદનો અપનાવવાની, ભારતીય કૌશલ્યને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાની અને ‘આત્મનિર્ભર ભારત’ તથા ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એ. કે. શર્માએ ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચેના વિકાસાત્મક સંબંધો તથા પ્રધાનમંત્રીના વિઝન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં અસમ અને મણિપુર રાજ્યના રાજ્યપાલોના વીડિયો સંદેશો રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ રાજ્યોના સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા રાજ્યપાલનું સન્માન કરવામાં આવ્યું હતું. “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને જીવંત કરતી મનમોહક સાંસ્કૃતિક રજૂઆતો પણ કાર્યક્રમનું આકર્ષણ રહી.
આ ઉજવણીમાં બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા, લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, વડોદરાના અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ધીરેન્દ્રસિંહ રાજપૂત, ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશ રવિ ત્રિપાઠી, વિવિધ રાજ્યોના અગ્રણીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષાદળોના પ્રતિનિધિઓ તેમજ ગુજરાતને પોતાનું ઘર બનાવીને રહેતા વિવિધ રાજ્યોના નાગરિકોની વિશાળ હાજરી નોંધપાત્ર રહી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel