પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે નરેન્દ્ર મોદી આજે શનિવારે (14 માર્ચ, 2026) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર વિશાળ જનસભાને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રાજ્યવ્યાપી ‘પરિવર્તન યાત્રા’ના સમાપન પ્રસંગે યોજાઈ રહેલી આ મેગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે, જેમાં હજારો પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે અનેક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.
આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં અંદાજે ₹18,680 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કરશે, જેમાંથી ₹16,990 કરોડના ખર્ચે લગભગ 420 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ પૂર્વ ભારતમાં માર્ગ સુરક્ષા સુધારવો, ટ્રાફિક સમસ્યાઓ ઘટાડવી અને પ્રદેશના આર્થિક વિકાસને વેગ આપવાનો છે. તેમાં સૌથી મહત્વનો 231 કિલોમીટર લાંબો ખડગપુર-મોરગ્રામ ઈકોનોમિક કોરિડોર છે, જેને ચાર લેન હાઈવે તરીકે વિકસાવવામાં આવશે.
આ કોરિડોર પૂર્ણ થયા બાદ ખડગપુર અને સિલીગુડી વચ્ચેનું અંતર લગભગ 120 કિલોમીટર ઘટશે અને મુસાફરીના સમયમાં અંદાજે 8 કલાકનો બચાવ થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી દુબરાજપુર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 14 પર બાયપાસ અને કંગસાબતી નદી તથા શિલાબતી નદી પર નવા પુલોના નિર્માણ માટે પણ શિલાન્યાસ કરશે, જે આ વિસ્તારમાં માર્ગ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે.
કોલકાતા પહોંચતા પહેલા પ્રધાનમંત્રી સિલચર, આસામ માં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અભિયાન તથા વિકાસ કાર્યોના લોકાર્પણ માટે રવાના થશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુ બેનર્જીએ જણાવ્યું કે આ રેલી માટે તમામ સંગઠનાત્મક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel