ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે ગામોના સંપર્ક માર્ગો બંધ થયા છે, હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ છે અને રાજ્યના 257 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
બપોરે 1 વાગ્યા સુધી 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ બપોરે 1 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ટૂંકા ગાળામાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક તંત્રને નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવા તેમજ જરૂર પડે ત્યાં સ્થળાંતરની તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે.
કચ્છથી નવસારી સુધી 23 જિલ્લામાં યલો એલર્ટ
કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વહેતા પાણીમાંથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ખેડાના માતર તાલુકામાં પૂર જેવી સ્થિતિ
ખેડા જિલ્લાના માતર તાલુકાના સાયલા ગામમાં ગંભીર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને ગામમાં આવવા-જવાના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. અંદાજે 2,500થી 3,000 વીઘા જેટલી ખેતીની જમીનમાં પાણી ભરાઈ જતાં ડાંગરના વાવેતરને ભારે નુકસાન થયું છે.
લાંબા સમયથી પાણી ન ઓસરતાં ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક ખેડૂતોએ મહી કેનાલ મારફતે પાણીનો નિકાલ કરવાની માગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પરીએજ તળાવના રિનોવેશન બાદ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે.
વિરમગામમાં પૂરના પાણીમાં યુવક અને ટ્રેક્ટર ફસાયા
વિરમગામના તિરંગા સર્કલ રોડ પર વહેતા પૂરના પાણીમાં એક યુવક તણાયો હતો. યુવકને બચાવવા પહોંચેલું ટ્રેક્ટર પણ પાણીમાં ફસાઈ ગયું હતું. જોકે સ્થાનિક લોકોની મદદથી યુવકનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો.
ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં વિરમગામના અનેક માર્ગો હજુ પણ બંધ છે. તંત્ર દ્વારા જોખમી રસ્તાઓ પર અવરજવર ન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.
મોરબીમાં ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા ખોલાયા
મોરબી જિલ્લાના જિકીયારી ગામ નજીક આવેલો ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક શરૂ થતાં ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતાં મોરબી અને માળિયા તાલુકાના કુલ 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે લોકોને ચેતવણી આપવામાં આવી છે.
કડીના નરસિંહપુરા ગામમાં જળબંબાકાર
મહેસાણાના કડી તાલુકાના નરસિંહપુરા ગામમાં 70 વીઘા વિસ્તારમાં આવેલું તળાવ તૂટી જતાં ગામમાં પાણી ઘૂસી ગયું છે. તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતાં હજારો વીઘામાં ઉભેલો પાક પાણીમાં ગરકાવ થયો છે.
ગામની ગટર વ્યવસ્થા જામ હોવાથી પાણીનો નિકાલ થઈ શક્યો નહોતો. આખરે કેનાલ તોડીને પાણી નર્મદા તરફ વાળવાની ફરજ પડી હતી. ગ્રામજનોએ સમગ્ર સ્થિતિ માટે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
અમદાવાદમાં બે કલાકમાં બે ઇંચ સુધી વરસાદ
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા દરમિયાન થલતેજ અને સાયન્સ સિટી વિસ્તારમાં સૌથી વધુ બે-બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
બોડકદેવ અને મેમનગરમાં અંદાજે દોઢ ઇંચ, કઠવાડા, ચાંદલોડિયા અને મેમકો વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યના 72 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 1.2 ઇંચ, ખેડાના મહેમદવાદમાં 1.2 ઇંચ, દસ્ક્રોઈમાં 1.1 ઇંચ, ધોળકામાં 1.1 ઇંચ અને સુરેન્દ્રનગરના ચુડામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠાના ડીસામાં પોણાથી દોઢ ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ડીસામાં પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ
બનાસકાંઠાના ડીસામાં એકથી દોઢ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જલારામ મંદિર નજીક, રહેણાંક વિસ્તારો અને શાળાની આગળ ઢીંચણસમા પાણી ભરાયા હતા.
શાળાની આસપાસ પાણી ભરાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે મુશ્કેલી પડી હતી. રસ્તાઓ પર પાણી ભરાવાથી વાહનચાલકો પણ પરેશાન થયા હતા. સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
ધોળકા પંથકમાં ચાર દિવસથી પાણીનો ભરાવો
અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં છેલ્લા ચાર દિવસથી જળબંબાકારની સ્થિતિ યથાવત છે. વાસણા બેરેજમાંથી આવેલું પાણી ખેતરોમાં ફરી વળતાં અનેક ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ ગયો છે.
ખેડૂતોનું કહેવું છે કે તંત્ર દ્વારા સમયસર પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સર્વે તથા વળતરની માગ કરવામાં આવી છે.
રાજ્યના 257 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ
ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે ગુજરાતના 257 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમાં 15 સ્ટેટ હાઇવેનો પણ સમાવેશ થાય છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કોઝવે અને નાના પુલ પાણીમાં ડૂબી જતાં ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
સપ્તાહ દરમિયાન રાજ્યમાં 321 મકાનોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની 17 અને SDRFની 33 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે.
21 ડેમ હાઈ એલર્ટ પર, 13 ડેમ છલકાયા
રાજ્યમાં સતત વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધી રહી છે. ગુજરાતના 21 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 13 ડેમ સંપૂર્ણ રીતે છલકાઈ ગયા છે.
રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં 69.32 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ડેમોમાંથી પાણી છોડવાની સ્થિતિ ઊભી થાય ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અગાઉથી સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel