ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના મંત્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને જાત નીરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. જેને ધ્યાને લઈ આરોગ્ય મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલે જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી. પ્રભારી મંત્રીએ મુખ્યમંત્રીના દિશા-નિર્દેશો મુજબ, ખાસ કરીને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના માર્ગો તથા સિંચાઈ વિભાગના માર્ગો ઉપર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ-નુકશાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં સમીક્ષા કરી હતી.
પ્રભારી મંત્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી, સ્થળ તપાસ અને તેમાંથી પરિવહન માટે પ્રતિબંધ કરેલ બ્રિજની કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે જરૂરી રીપેરિંગ, મેઈન્ટેનન્સ અને યોગ્ય ડાયવર્ઝન દ્વારા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.
પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, શહેર-જિલ્લાના તમામ બ્રીજોના ટેકનીકલ ટેસ્ટીંગની જરૂરીયાત હોય તો સત્વરે કરાવી લેવા તેમજ સ્ટ્રકચરલ ભાગોના મેજર રીપેરીંગ હોય તત્કાલ મરામત કરવાની સુચના આપી હતી. જો કોઈ બ્રીજ બંધ કરવાની જરૂરીયાત હોય તો સત્વરે બંધ કરવા તેમજ જે તે વિભાગો હસ્તકના બ્રીજોની રીપેરીંગ અંગેની ચોક્કસ એસ.ઓ.પી. બનાવવાની સુચના આપી હતી. આ ઉપરાંત સમયાંતરે બ્રીજોની ચકાસણી કરવા પણ સુચના આપી હતી.
વધુમાં, વરસાદી પાણી નિકાલ, જાહેર મિલ્કતોના બાંધકામ અને વિજળીકરણની સ્થિતિની ચકાસણી, રોડ રસ્તા રીપેરીગં કરતી વખતે ધ્યાનમાં લેવા જેવી ટેકનીલ બાબતો, સ્વચ્છતા જેવા મહત્વના વિષયો પર કામગીરી કરવા જણાવ્યુ હતુ. ખાસ કરીને લોકોમાં સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની દિશામાં પ્રયાસો કરી મહત્તમ જનભાગીદારી વધારવા અપીલ કરી હતી.
આ અવસરે પ્રભારી મંત્રીએ નડિયાદ શહેરના મિશન રોડ પરના બ્રિજની સ્થળ તપાસ કરી બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ અને સંબધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મંત્રીના સુચનો પર ત્વરીત આયોજન કરી કામગીરી કરવા ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં કુલ ૪૦૬ બ્રિજની સ્થળ તપાસ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત અન્ય ધારાસભ્ય, મ.ન.પા કમિશનર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર, અગ્રણી સહિત વહીવટી તંત્રના તમામ મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.