વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સશક્ત ગ્રાહક, સમૃદ્ધ ભારત’ના વિઝનને સાકાર કરવા ગુજરાત રાજ્ય મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ગ્રાહક સુરક્ષાને દેશના વિકાસના અભિન્ન અંગ તરીકે માનતા રાજ્યમાં ગ્રાહક હિતોનું રક્ષણ માત્ર કાયદાકીય પ્રક્રિયા નહીં પરંતુ સુશાસનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રાહક જાગૃતિ અને સુરક્ષાના ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે.
સમગ્ર રાજ્યમાં ‘ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી
આ જ દિશામાં 9થી 15 માર્ચ 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં ‘ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજીને નાગરિકોને તેમના ગ્રાહક અધિકારો વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
આ સાથે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાશે.
ગ્રાહકો માટે ટોલ ફ્રી હેલ્પલાઇન અને ફરિયાદ વ્યવસ્થા
ગ્રાહકોને સરળતાથી ફરિયાદ નોંધાવવાની સુવિધા આપવા માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી નંબર 14437 અને 1800 233 0222 શરૂ કર્યા છે, જેના માધ્યમથી કોઈપણ નાગરિક ઘરે બેઠા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
ગાંધીનગરના કર્મયોગી ભવનમાં કાર્યરત કન્ઝ્યુમર અવેરનેસ એન્ડ પ્રોટેક્શન યુનિટ (CAPU) દ્વારા વર્ષ 2024થી અત્યાર સુધીમાં અંદાજે 22,702 ફરિયાદોનું સફળ નિવારણ કરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમો
ગ્રાહક જાગૃતિ વધારવા માટે વર્ષ 2025-26 દરમિયાન રાજ્યભરમાં અનેક કાર્યક્રમો યોજાયા છે. જેમાં
-
199 જાગૃતિ શિબિર
-
74 વર્કશોપ
-
221 ગ્રામસભા અને શેરીસભા
-
3,11,101 પત્રિકાઓનું વિતરણ
-
48,831 બુલેટીનનું પ્રકાશન
-
1161 સેમિનાર
આ તમામ કાર્યક્રમો દ્વારા લાખો નાગરિકો સુધી ગ્રાહક શિક્ષણ પહોંચાડવામાં આવ્યું છે.
‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ’ તૈયાર કરવાની પહેલ
ટેકનોલોજી અને સંશોધનના યુગમાં ગુજરાતે વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. કન્ઝ્યુમર અફેર એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત (CAPAG) દ્વારા CERC અને CARE Edge સાથે મળીને વિશ્વમાં પ્રથમ વખત ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ (CRI)’ તૈયાર કરવામાં આવશે.
આ ઇન્ડેક્સ દ્વારા કંપનીઓને ગ્રાહક પ્રત્યેના વર્તન, ગ્રાહક અધિકારોના રક્ષણ અને ફરિયાદ નિવારણના આધારે રેટિંગ આપવામાં આવશે.
આ ઉપરાંત દરેક જિલ્લામાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી
ગ્રાહક હિતોની રક્ષા માટે કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં વિવિધ ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ-ડીઝલ પંપોની તપાસમાં 296 પંપો સામે કાર્યવાહી કરી ₹1.77 લાખથી વધુ દંડ વસૂલવામાં આવ્યો.
તે ઉપરાંત મીઠાઈ, ફરસાણ અને ડ્રાયફ્રુટની દુકાનો સામે 283 કેસ નોંધાઈ ₹14.42 લાખથી વધુ દંડ વસૂલાયો, જ્યારે સોના-ચાંદીના વેપારીઓ અને જવેલરી શોરૂમ સામે 256 કેસ નોંધાઈ ₹6.84 લાખ દંડ વસૂલવામાં આવ્યો.
ક્રિકેટ સ્ટેડિયમમાં ખાણીપીણીના સ્ટોલ પર વધુ ભાવ વસૂલતા 9 સ્ટોલ સામે કાર્યવાહી કરી ₹42,000 દંડ વસૂલાયો.
‘જાગો ગ્રાહક જાગો’ અભિયાનથી જાગૃતિ
રાજ્ય સરકાર દ્વારા રેડિયો, આકાશવાણી, હોર્ડિંગ્સ અને કેલેન્ડર જેવા માધ્યમો દ્વારા ‘જાગો ગ્રાહક જાગો’ અભિયાન ચલાવીને છેવાડાના માણસ સુધી ગ્રાહક અધિકારો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2026ની થીમ ‘Safe Product, Confident Consumers’ રાખવામાં આવી છે, જે ગ્રાહકોના આત્મવિશ્વાસને મજબૂત બનાવવા અને બજારમાં પારદર્શિતા લાવવાના સરકારના સંકલ્પને દર્શાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel