ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને સંપૂર્ણપણે ડિજિટલ, પારદર્શક અને વધુ અસરકારક બનાવવા માટે અનેક મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવી રહી છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને આગળ વધારતા આ નવતર પ્રોજેક્ટ્સનો પ્રારંભ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોશી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાહેર વિતરણ વ્યવસ્થા અને ગ્રાહકોની બાબતોના કેન્દ્ર સચિવ સંજીવ ચોપરા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી પૂનમચંદ બરંડા સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે હાજર રહેશે. આ પહેલો દ્વારા સરકાર છેવાડાના નાગરિકોને સશક્ત બનાવવાની સાથે પારદર્શિતા અને ટેક્નોલોજી આધારિત વિતરણ વ્યવસ્થા તરફ મોટું પગલું ભરશે.
આ કાર્યક્રમની સૌથી મહત્વપૂર્ણ પહેલ CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) આધારિત પારદર્શક વિતરણ વ્યવસ્થા છે, જેમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિકૃત ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરીને સબસિડી ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રયોગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. પંજાબ નેશનલ બેંક દ્વારા વિકસિત આ સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને તેમના ડિજિટલ વોલેટમાં ટોકન મળશે, જેમાં વસ્તુનું નામ, વજન અને કિંમતની માહિતી રહેશે. આધાર આધારિત પ્રણાલીથી સ્માર્ટફોન વપરાશકર્તાઓ QR કોડ દ્વારા અને ફીચર ફોન ધરાવતા લોકો OTP દ્વારા અનાજ મેળવી શકશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદના સાબરમતી ઝોન, સુરત, આણંદ અને વલસાડના કુલ 26,333 પરિવારોને આ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે.
જાહેર વિતરણ વ્યવસ્થામાં ગુણવત્તા અને પારદર્શિતા વધારવા માટે હવે NFSA પરિવારોને તુવેરદાળ અને ચણાનું વિતરણ છૂટકને બદલે 1 કિલોના સીલબંધ પેકિંગમાં કરવામાં આવશે, જેનાથી શુદ્ધતા અને ગુણવત્તા જાળવવામાં મદદ મળશે. ઉપરાંત અમદાવાદના સાબરમતી ઝોનમાં ‘અન્નપૂર્તિ ગ્રેઇન ATM’ શરૂ કરવામાં આવશે, જ્યાં બેંક ATM જેવી વ્યવસ્થા દ્વારા 24 કલાક અનાજ ઉપલબ્ધ રહેશે. માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધીનું અનાજ મેળવવાની સુવિધા વિતરણ પ્રક્રિયામાં ઝડપ અને ચોકસાઈ વધારશે.
ગ્રાહક હિતોની સુરક્ષા માટે સરકાર Care Rating અને Consumer Education and Research Centre (CERC) સાથે ઐતિહાસિક સમજૂતી કરાર કરશે. આ હેઠળ ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ’ તૈયાર કરવામાં આવશે, જેના આધારે કંપનીઓના જવાબદારી આધારિત રેટિંગ થશે. સાથે જ ગ્રાહકોની ફરિયાદોના ઝડપી અને કોર્ટ બહાર નિરાકરણ માટે ‘Conciliation and Pre-litigation Ecosystem’ અમલમાં આવશે, જે ગ્રાહકોને ઝડપી ન્યાય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે.
ખાદ્ય સુરક્ષાથી પોષણ સુરક્ષા તરફ આગળ વધતા ‘ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્વર તાલુકો’ અભિયાન પણ શરૂ થશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડના CSR ફંડમાંથી ₹1.65 કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાને કુપોષણમુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ હેઠળ બે મોડેલ આંગણવાડીઓ સ્થાપિત થશે અને કિશોરીઓ તથા સગર્ભા મહિલાઓના આરોગ્ય અને પોષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. રાજ્ય સરકારનો આ પ્રયાસ ડિજિટલ ટેક્નોલોજી, પારદર્શિતા અને સામાજિક કલ્યાણને એકસાથે જોડીને જનકલ્યાણની નવી દિશા તરફ આગળ વધતો મહત્વપૂર્ણ પગલું ગણાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel