જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. મેળાના આરંભની પૂર્વ સંધ્યાએ જ હજારો શિવભક્તો ભવનાથ ખાતે દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભારે ભીડને કારણે લગભગ બે કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક મેનેજમેન્ટ અમલમાં મુકવામાં આવ્યું.
જિલ્લા કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ મહાશિવરાત્રી મેળા દરમિયાન અંદાજે 10થી 12 લાખ લોકો માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે. મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત લગભગ સાડા ત્રણ કિલોમીટરનો માર્ગ સુશોભિત કરવામાં આવ્યો છે, જેને ભાવિકોએ આવકાર્યો છે.
મેળાના પ્રથમ દિવસે સંતો-મહંતોના નગર પ્રવેશ માટે પ્રથમ વખત ‘ડમરુ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સાંજે 7 વાગ્યે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈને લગભગ 400 મીટરના માર્ગે મંદિર સુધી પહોંચી હતી. આ યાત્રામાં સર્વ સમાજની કન્યાઓએ કળશ ધારણ કરીને સંતોનું સ્વાગત કર્યું હતું, જે એક નવીન અને પ્રેરણાદાયી પરંપરા બની છે. યાત્રા મહાઆરતી સાથે સમાપ્ત થઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ડમરુ યાત્રામાં ભાગ લીધો અને સંતોના નગર પ્રવેશમાં વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
હર હર મહાદેવ નાદ સાથે સાધુ સંતો, ધારાસભ્યશ્રી, મેયરશ્રી, જિલ્લા કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ ભરડાવાવથી આસ્થાભેર પદયાત્રા કરીને ભવનાથ મંદિર પહોંચી ધ્વજા રોહણ કરી મેળાનો પ્રારંભ કરાવ્યો@CMOGuj @sanghaviharsh @drpradyumanvaja @InfoGujarat pic.twitter.com/7eY8kzkCEG
— Info Junagadh GoG (@InfoJunagadhGoG) February 11, 2026
ભવનાથ મહાશિવરાત્રી મેળો ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના અનોખા સંગમ તરીકે જાણીતો છે. ગિરનાર પર્વતના પગથિયે આવેલા આ મંદિરે દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. મેળામાં નાગા સાધુઓના ધૂણા, મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ભવ્ય રવેડી પ્રક્રિયા અને મૃગીકુંડમાં શાહી સ્નાન જેવી વિધિઓ મુખ્ય આકર્ષણ રહે છે. આ વર્ષે રવેડીનો માર્ગ 500 મીટર વધારવામાં આવ્યો છે, જેથી વધુ ભવ્યતા આવે. મેળો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે, જેમાં અવિરત અન્નક્ષેત્રો ચાલુ રહે છે અને શ્રદ્ધાળુઓને મફત ભોજન પીરસવામાં આવે છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ તો 11થી 14 ફેબ્રુઆરી સુધી ભવનાથ તળેટીમાં બે સેશનમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રખ્યાત કલાકારો સહિત દેશ-વિદેશના કલાકારો ભક્તિમય ભજન-સંગીત રજૂ કરશે. આ કાર્યક્રમો ભક્તિ અને સાહિત્યની રમઝટ લાવશે. મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમન માટે ઘણા રસ્તાઓ વન-વે બનાવવામાં આવ્યા છે અને ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ ઉંટગાડી, ઘોડાગાડી તેમજ બળદગાડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાર્કિંગ માટે 20થી વધુ સ્થળો અને 140 પીવાના પાણીના પોઈન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બનશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ વર્ષનો મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર બની રહેશે. ‘મીની કુંભ’ તરીકે ઓળખાતા આ મેળામાં સાધુ-સંતો અને લાખો શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
શ્રદ્ધાળુઓને વધુ સુવિધા મળે તે માટે રવેડી રૂટને 1.5 કિ.મી.માંથી વધારી 2 કિ.મી. કરવામાં આવ્યો છે, જેથી નાગા સાધુઓની રવેડી વધુ લોકો જોઈ શકે.
સુરક્ષા અને સુવિધાઓ માટે ખાસ વ્યવસ્થા
આ વર્ષે મેળામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. દર વર્ષે અંદાજે 1600 પોલીસ જવાનો ફરજ બજાવતા હતા, જ્યારે આ વખતે 2900થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તાર પર CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે.
આ ઉપરાંત પાર્કિંગ, અવરજવર માટે વિશેષ માર્ગ વ્યવસ્થા, રહેવા માટે ડોરમેટરી, સ્વચ્છ શૌચાલય અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવી છે. 300થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
થીમ આધારિત સુશોભન અને લાઈવ સ્ટ્રીમિંગ
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર મેળા રૂટને ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભિત કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ માટે સેલ્ફી પોઈન્ટ અને ઈન્ફોર્મેશન સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. શાહી સ્નાન દરમિયાન મેળાનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel