બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સૈનિકોએ અનેક યુદ્ધોમાં અંગ્રેજોની તરફથી લડત આપી હતી, પરંતુ તેમની બહાદુરીનો શ્રેય ઘણી વખત માત્ર બ્રિટિશ આર્મીને જ મળતો રહ્યો. હવે ઇઝરાયેલના હાઈફા શહેરે આ ઐતિહાસિક ભૂલને સુધારીને ભારતીય સૈનિકોના બલિદાનને યોગ્ય માન આપવાનું નક્કી કર્યું છે. હાઈફામાં 29 સપ્ટેમ્બરનાં રોજ બલિદાન પામેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જ્યાં શહેરના મેયરે જાહેર કર્યું કે હવે હાઈફાની તમામ શાળાઓના ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું હતું કે શહેરને ઓટોમન શાસનમાંથી મુક્ત કરાવનાર અંગ્રેજો હતા, પરંતુ હકીકતમાં 1918માં ‘બેટલ ઑફ હાઈફા’માં ભારતીય ઘોડેસવારોએ જ આ શહેરને આઝાદ કરાવ્યું હતું. મેયર યોના યાહાવે પોતાના ભાષણમાં જણાવ્યું કે તેઓ બાળપણથી જ માનતા હતા કે શહેરની મુક્તિ બ્રિટિશોની છે, પરંતુ હિસ્ટોરિકલ સોસાયટીના સંશોધન બાદ સાચો ઇતિહાસ બહાર આવ્યો કે ભાલા અને તલવારોથી સજ્જ ભારતીય રેજિમેન્ટોએ આધુનિક તોપો અને મશીનગનોથી સજ્જ ઑટોમન સેનાને હરાવી હતી.
આ યુદ્ધ દરમિયાન મૈસૂર, હૈદરાબાદ અને જોધપુર લેન્સર્સની ઘોડેસવાર રેજિમેન્ટોએ માઉન્ટ કાર્મેલની ખીણોમાંથી આક્રમક હુમલો કર્યો હતો અને 15મી ઇમ્પિરિયલ સર્વિસ કેવલરી બ્રિગેડ હેઠળ ઑટોમન સેનાને હરાવીને હાઈફાને મુક્ત કરાવ્યું હતું. ઇતિહાસકારો આ લડતને ‘વિશ્વનું અંતિમ મહાન ઘોડેસવાર યુદ્ધ’ ગણાવે છે. ભારતીય સૈનિકોની બહાદુરી બદલ કેપ્ટન અમન સિંહ બહાદુર અને દફાદર જોર સિંહને ઈન્ડિયન ઓર્ડર ઑફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે કેપ્ટન અનુપ સિંહ અને સેકન્ડ લેફ્ટનન્ટ સગત સિંહને મિલીટરી ક્રોસ એનાયત થયો હતો. મેજર દલપત સિંહ, જેમને “હાઈફાના હીરો” તરીકે ઓળખવામાં આવે છે, તેમને પણ તેમની શૌર્યકથાઓ માટે મિલીટરી ક્રોસથી નવાજવામાં આવ્યા હતા. આ લડાઈમાં જોધપુર લેન્સર્સના આઠ સૈનિકોએ વીરગતિ પામી હતી અને 34 ઘાયલ થયા હતા, પરંતુ તેમણે 700થી વધુ કેદીઓને પકડી લીધા, 17 ફિલ્ડ ગણ અને 11 મશીનગન કબજે કરી હતી.
ભારતીય સેના દર વર્ષે 23 સપ્ટેમ્બરનાં રોજ “હાઈફા દિવસ” તરીકે આ લડતને યાદ કરે છે, જેમાં બલિદાન આપનાર અને વિજય અપાવનાર ભારતીય રેજિમેન્ટોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ભારતીય મિશન અને હાઈફા મ્યુનિસિપાલિટી પણ વાર્ષિક સમારોહ યોજીને આ ઐતિહાસિક ક્ષણને જીવંત રાખે છે. આજે હાઈફા, જેરૂસલેમ અને રામલા જેવા શહેરોમાં ભારતીય સૈનિકોના સ્મારકો ઉભા છે, જ્યાં તેમના શૌર્યને યાદ કરવામાં આવે છે. હાઈફા શહેરના આ નિર્ણય સાથે ભારતીય સૈનિકોની ભૂમિકા હવે આગામી પેઢીઓના ઇતિહાસ ગ્રંથોમાં અમર થઈ રહેશે, જે દર્શાવે છે કે આઝાદી માત્ર બ્રિટિશ શક્તિથી નહીં પરંતુ ભારતીય યોદ્ધાઓની બહાદુરીથી પ્રાપ્ત થઈ હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel