લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને રહેલાં જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ દ્વારા જણાવાયું કે, કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે.
વૈશ્વિક કક્ષાએ નોંધનીય બનનાર કલ્પસર યોજના માટે સક્રીય વિચારક અને માર્ગદર્શક વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ લોકભારતી સણોસરામાં કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલનાં અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો.
જળસંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ દ્વારા તેમના ઉદબોધનમાં જણાવાયું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત અભિગમમાં પાણી સંગ્રહ અને તેની યોજનાઓ કેન્દ્રમાં રહેલી છે. કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે.
કેન્દ્ર સરકાર દ્વારા પીવાના પાણી તથા સિંચાઈ સંબંધી આંકડાકીય સ્થિતિ અને ઉપલબ્ધિઓ સાથે પાણી વાપરવું આપણો અધિકાર પરંતુ ધરતી માતાનું એ ઋણ છે, જે ચૂકવવું આપણી ફરજ હોવાનું જણાવી જળસંગ્રહ માટે ભાર પૂર્વક અનુરોધ કરી કેન્દ્રીય પ્રધાન શ્રી ચંદ્રકાંત પાટીલે સન્માનિત વિનુભાઈ ગાંધી દ્વારા કલ્પસર માટેના અભિયાન કાર્યોને વંદન કરીને પાણી સંગ્રહ સાથેની આ વિરાટ બહુહેતુક યોજના અંગે સરકાર ખૂબ સક્રિય હોવાની વાત કરી.
સન્માનિત વિનુભાઈ ગાંધીએ અગાઉ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલ્પસર માટે નાળિયેર નાખીને કરાયેલ સંકલ્પ હવે સાકાર થશે તેવી આશા વ્યક્ત કરી અને ઉમેર્યું કે ખંભાતનો અખાત વિસ્તાર એ પ્રકૃતિએ આપણને આપેલી મોટી ભેટ છે, જ્યાં કલ્પસર સાકાર થશે.
કલ્પસર સહયોગ સમિતિ દ્વારા પુરષોત્તમભાઈ કમાણી અને મહાનુભાવોના હસ્તે આ સન્માન અર્પણ થયું. આ સન્માનમાં મળેલ રૂપિયા ૧૧,૧૧,૧૧૧ રકમમાં રૂપિયા ૧૧,૧૧૧ ઉમેરીને આ પ્રવૃત્તિને સહયોગી બનવા આ રાશિ સન્માનિત વિનુભાઈ ગાંધીએ પરત અર્પણ કરી.
પ્રારંભે જીવરાજભાઈ સુરાણી (ધારૂકાવાળા) તથા લોકભારતી સંસ્થાના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના હસ્તે દીપપ્રાગટ્ય થયું.
આ પ્રસંગે અરુણભાઈ દવેએ પ્રાસંગિક ભૂમિકા આપતાં સમગ્ર વિશ્વ માટે નમૂનો બનનાર કલ્પસર યોજના એ આપણું સદભાગ્ય ગણાવ્યું. તેઓએ લોકભારતી દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરીનો ઉલ્લેખ કરી વૈશ્વિક કક્ષાએ લોકભારતીની ભૂમિકા જણાવી અને જળ સંગ્રહ, ગૌ સંવર્ધન, કૃષિ સંશોધન વગેરેની વાત ઉમેરી.
આ પ્રસંગે સન્માન પત્રનું વાચન લોકભારતી વિશ્વવિદ્યાલયના વિશાલભાઈ ભાદાણીએ કર્યું. આભારવિધિ કમલનયનભાઈ સોજીત્રાએ કરી. કાર્યક્રમ સંચાલનમાં હાર્દિકભાઈ સોરઠિયા રહ્યાં હતાં. પ્રારંભે લોકભારતી સંગીતવૃંદ દ્વારા ગીત ગાન પ્રસ્તુત થયેલ. મોજીલી શાળા આંબલાના બાળકો દ્વારા યોગાસન અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે મહેમાનોને આવકારેલ.
અભિનવ સન્માન સમારોહ પ્રસંગે અગ્રણીઓ બેચરભાઈ ભાદાણી, ધનરાજભાઈ કૈલા, કમલનયનભાઈ સોજીત્રા અને દિલીપભાઈ સખિયા મુખ્ય મહેમાન તરીકે રહ્યાં.
આ પ્રસંગે અગ્રણી મહાનુભાવો કાંતિભાઈ ગોઠી, પ્રફુલભાઈ સેંજળિયા, નલીનભાઈ પંડિત, રઘુભાઈ હુંબલ, જીવાભાઈ બારડ, મગનભાઈ મોલિયા, પ્રકાશભાઈ સખિયા, વીરજીભાઈ જસાણી, હીરજીભાઈ ભીંગરાડિયા, વિજયભાઈ લોલિયાણા, મનુભાઈ સવાણી, પરશોત્તમભાઈ સિધ્ધપુરા, હિરેનભાઈ હામલિયા, ગોકુળભાઈ આલ, વલ્લભભાઈ રાઠોડ અને અન્ય કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel