ઈરાનમાં વધતા ભૂરાજકીય સંકટ વચ્ચે ભારતે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠાને લઈને મહત્વપૂર્ણ રાજનૈતિક પ્રયાસો શરૂ કર્યા છે. આ સંદર્ભમાં એસ. જયશંકર અને અબ્બાસ અરાઘચી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ ચર્ચાઓમાં ખાસ કરીને દરિયાઈ માર્ગોની સુરક્ષા, જહાજોની સલામતી અને ભારતની ઊર્જા સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ઈરાનમાં લગભગ 9,000 ભારતીયોની હાજરી
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ વિગતો જાહેર કરવી યોગ્ય નથી. તેમ છતાં ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી મહત્વનો મુદ્દો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર હાલમાં ઈરાનમાં લગભગ 9,000 જેટલા ભારતીયો રહે છે. તેમની સલામતી સુનિશ્ચિત કરવા અને જરૂરી પડે તો તેમને સુરક્ષિત રીતે વતનમાં પરત લાવવા માટે સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.
Weekly Media Briefing by the Official Spokesperson (March 12, 2026)
https://t.co/bbTF4ybitC
— Randhir Jaiswal (@MEAIndia) March 12, 2026
ઈરાનના યુદ્ધજહાજનું ભારતમાં ડોકિંગ
આ દરમિયાન ઈરાનના નૌકાદળને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ઈરાનના ત્રણ યુદ્ધજહાજે 28 ફેબ્રુઆરીએ ભારતમાં ડોક કરવાની મંજૂરી માગી હતી. તેમાંનું એક યુદ્ધજહાજ IRIS Lavan 4 માર્ચે કોચીના બંદરે સફળતાપૂર્વક ડોક થયું હતું. આ ઘટનાને ભારત અને ઈરાન વચ્ચેના નૌકાદળ સ્તરના સહયોગના ભાગ રૂપે પણ જોવામાં આવી રહી છે.
પડોશી દેશોને ઊર્જા સહાય અંગે વિચારણા
વૈશ્વિક ઊર્જા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત પડોશી દેશોને ઈંધણ પુરવઠા અંગે પણ વિચારણા કરી રહ્યું છે. ભારત પેટ્રોલિયમ ઉત્પાદનોનો મોટો નિકાસકાર છે અને ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશોને ઈંધણ સપ્લાય કરે છે.
બાંગ્લાદેશ તરફથી ડીઝલ સપ્લાય માટે ભારત પાસે વિનંતી કરવામાં આવી છે. ભારત સરકારે આ વિનંતી પર વિચારણા શરૂ કરી છે. નોંધનીય છે કે 2017થી બાંગ્લાદેશને ભારત તરફથી મોટા પ્રમાણમાં ડીઝલની નિકાસ થઈ રહી છે.
તે ઉપરાંત શ્રીલંકા અને માલદીવ્સ જેવા દેશોએ પણ ઊર્જા સહાય માટે ભારતનો સંપર્ક કર્યો છે.
ભારત સરકારના જણાવ્યા મુજબ કોઈપણ અંતિમ નિર્ણય લેતા પહેલા દેશની રિફાઈનિંગ ક્ષમતા, ઘરેલુ ઈંધણની માંગ અને ડીઝલની ઉપલબ્ધતાને ધ્યાનમાં લેવામાં આવશે. સરકારનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સંકટ વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા જાળવી રાખતા સાથે મિત્ર દેશોને મદદ કરવાની દિશામાં પણ સંતુલિત નીતિ અપનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel