તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઓમાન નજીક આવેલા એક ઓઇલ ટેન્કર પર અમેરિકી હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા હોવાના દાવા વાયરલ થયા હતા. આ દાવાઓને લઈને વિદેશ મંત્રાલય (MEA)એ સત્તાવાર સ્પષ્ટતા કરતા તેને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે.
વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક વિભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અહેવાલોને ‘FAKE’ જાહેર કરીને જણાવ્યું છે કે ‘MT Liaki Freedom’ નામના જહાજ પર હુમલો અને ચાર ભારતીય નાવિકોના મોતના દાવાઓનો કોઈ આધાર નથી.
શું હતો વાયરલ દાવો?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘India Sentinels’ નામના એક એકાઉન્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ઓમાન નજીક ‘MT Liaki Freedom’ નામના ઓઇલ ટેન્કર પર અમેરિકાએ અઠવાડિયાનો ચોથો હુમલો કર્યો છે.
પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ કથિત હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા છે. આ પોસ્ટ ઝડપથી વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી.
Fake News Alert!
Please stay alert against such false and baseless claims and posts on social media. pic.twitter.com/Xn8I65LdKu
— MEA FactCheck (@MEAFactCheck) June 13, 2026
વિદેશ મંત્રાલયે કહ્યું – સંપૂર્ણપણે ખોટી માહિતી
વાયરલ દાવા સામે આવ્યા બાદ વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે તરત જ કાર્યવાહી કરી હતી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ‘MT Liaki Freedom’ પર હુમલાની કોઈ ઘટના બની નથી અને ચાર ભારતીય નાવિકોના મોતના અહેવાલો પણ સંપૂર્ણપણે નિરાધાર છે.
MEAએ લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફરતા અપ્રમાણિત દાવાઓથી સાવચેત રહે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે.
ખાડી વિસ્તારમાં તણાવ વચ્ચે ફેલાઈ અફવા
આ અફવા એવા સમયે ફેલાવવામાં આવી છે જ્યારે મધ્ય-પૂર્વ અને ખાડી વિસ્તારમાં વાસ્તવિક રીતે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.
તાજેતરમાં ઓમાનની ખાડીમાં ‘MT Settebello’ નામના એક વેપારી જહાજ પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
જયશંકરે અમેરિકાને નોંધાવ્યો વિરોધ
‘MT Settebello’ ઘટનાના અનુસંધાનમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાતચીત કરીને ભારતનો કડક વિરોધ નોંધાવ્યો હતો.
જયશંકરે જણાવ્યું હતું કે વેપારી જહાજો અને તેમાં કાર્યરત નાગરિક નાવિકોને નિશાન બનાવતી કોઈપણ કાર્યવાહી સ્વીકાર્ય નથી. ભારતે આ મુદ્દે નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના અધિકારીઓને પણ સમન્સ પાઠવ્યા હતા.
ટ્રમ્પના નિવેદન બાદ વધ્યો વિવાદ
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા ભારતીય જહાજોને ડ્રોન દ્વારા નિશાન બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો, જેના કારણે ખાડી વિસ્તાર સાથે જોડાયેલા અહેવાલો વધુ ચર્ચામાં આવ્યા હતા.
‘MT Settebello’ ઘટનાનો ઉઠાવ્યો ફાયદો?
નિષ્ણાતોનું માનવું છે કે ‘MT Settebello’ જેવી વાસ્તવિક ઘટનાને આધારે સોશિયલ મીડિયા પર ‘MT Liaki Freedom’ અંગે ખોટી અફવા ફેલાવવામાં આવી હોઈ શકે છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલ ચાર ભારતીય નાવિકોના મોત અંગેના વાયરલ દાવામાં કોઈ સત્યતા નથી અને જનતાએ આવા સંદેશાઓ શેર કરતા પહેલાં તેની સત્યતા ચકાસવી જોઈએ.
ફેક ન્યૂઝ સામે સતર્ક રહેવાની અપીલ
વિદેશ મંત્રાલયે સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફરતા ખોટા સમાચાર, ગેરમાર્ગે દોરતી પોસ્ટ્સ અને અપ્રમાણિત દાવાઓથી સાવચેત રહે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, ભારતીય નાગરિકો અને સૈન્ય સંબંધિત મુદ્દાઓમાં માત્ર સત્તાવાર સ્ત્રોતો દ્વારા જ માહિતીની પુષ્ટિ કરવી જોઈએ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel