કેન્દ્ર સરકારે બુધવારે અરવલ્લી પર્વતમાળાઓના સંરક્ષણને લઈને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અરવલ્લી વિસ્તારમાં કોઈપણ પ્રકારની નવી ખાણકામ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે અરવલ્લી પર્વતોના સંરક્ષણ માટે તે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને જૈવવિવિધતા, ભૂગર્ભજળ, પર્યાવરણીય સંતુલન અને રણના ફેલાવાને અટકાવવા માટે અરવલ્લીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
દિલ્હીથી લઈને ગુજરાત સુધી વિસ્તરેલી આ પ્રાચીન પર્વતમાળા છેલ્લા કેટલાક દિવસોથી વિવાદના કેન્દ્રમાં હતી અને સોશિયલ મીડિયા પર પણ સરકાર સામે વિરોધ જોવા મળી રહ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ગેરકાયદેસર ખાણકામ પર કાબૂ મેળવવા માટે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સમગ્ર અરવલ્લી પર્વતમાળા પર સમાન રીતે આ પ્રતિબંધ લાગુ થશે અને તેનો મુખ્ય હેતુ પર્વતમાળાની અખંડિતતા જાળવવાનો છે.
મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણય ગુજરાતથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સુધી વિસ્તરેલી સતત ભૂસ્તરશાસ્ત્રીય પર્વતમાળાના સંરક્ષણ અને અનિયંત્રિત ખાણકામ પ્રવૃત્તિઓને રોકવા માટે લેવામાં આવ્યો છે. સાથે જ ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ (ICFRE) ને અરવલ્લી વિસ્તારમાં વધુ એવા વિસ્તારો અને ઝોન ઓળખવાની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યાં ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. આ વિસ્તારોની ઓળખ ઇકોલોજીકલ, ભૂસ્તરશાસ્ત્રીય અને લેન્ડસ્કેપ સ્તરના માપદંડોના આધારે કરવામાં આવશે અને તે પહેલાથી જ પ્રતિબંધિત વિસ્તારો ઉપરાંત હશે.
In a major step towards conservation and protection of the entire Aravalli Range stretching from Delhi to Gujarat from illegal mining, the Union Ministry of Environment, Forest and Climate Change (MoEF&CC) has issued directions to the States for a complete Ban on the Grant of any… pic.twitter.com/e6r7itZZEi
— ANI (@ANI) December 24, 2025
સરકારએ સ્પષ્ટ કર્યું છે કે જે ખાણો પહેલેથી કાર્યરત છે, તેમના માટે રાજ્ય સરકારોએ તમામ પર્યાવરણીય સલામતી નિયમોનું કડક પાલન કરાવવું પડશે અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કામગીરી કરવી પડશે, જેમાં વધારાના નિયંત્રણો પણ લાગુ કરાશે. નોંધનીય છે કે નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટએ પર્યાવરણ મંત્રાલયની આગેવાની હેઠળની સમિતિની ભલામણના આધારે અરવલ્લી ટેકરીઓ અને અરવલ્લી પર્વતમાળાની એક સમાન કાનૂની વ્યાખ્યા સ્વીકારી હતી, જેના હેઠળ આસપાસના ભૂપ્રદેશથી ઓછામાં ઓછી 100 મીટર ઊંચાઈ ધરાવતી ભૂમિને ‘અરવલ્લી ટેકરી’ અને 500 મીટરની અંદર આવેલી બે કે તેથી વધુ એવી ટેકરીઓના સમૂહને ‘અરવલ્લી પર્વતમાળા’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે.
આ વ્યાખ્યા બાદ સોશિયલ મીડિયા પર સરકારની ટીકા પણ શરૂ થઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કોંગ્રેસ પર નવી વ્યાખ્યાને લઈને ખોટી માહિતી અને જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે અરવલ્લીના માત્ર 0.19 ટકા વિસ્તારમાં જ કાયદેસર ખાણકામ થઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો કે નરેન્દ્ર મોદી સરકાર અરવલ્લીના રક્ષણ અને પુનઃસ્થાપન માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને કોંગ્રેસે તેના શાસન દરમિયાન રાજસ્થાનમાં મોટા પાયે ગેરકાયદેસર ખાણકામને મંજૂરી આપી હતી. સરકારનું કહેવું છે કે આ નિર્ણય અરવલ્લી સંરક્ષણને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને ભવિષ્યમાં પર્વતમાળાનું વધુ અસરકારક રીતે રક્ષણ સુનિશ્ચિત કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel