નવી દિલ્હી ખાતે થયેલા ભયંકર વિસ્ફોટે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. સોમવારે સાંજે 6.52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે ટ્રાફિક સિગ્નલ નજીક એક કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની ધડાકો દૂર સુધી સંભળાયો હતો અને નજીકની ચારથી પાંચ કારો પૂરી રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત નીપજ્યા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો દોડધામ કરતા ભાગી ગયા હતા.
#WATCH | A call was received regarding an explosion in a car near Gate No. 1 of the Red Fort Metro Station, after which three to four vehicles also caught fire and sustained damage. A total of 7 fire tenders have reached the spot. A team from the Delhi Police Special Cell has… pic.twitter.com/F7jbepnb4F
— ANI (@ANI) November 10, 2025
દિલ્હી પોલીસ કમિશનર સતિશ ગોલચાએ જણાવ્યું હતું કે ફાયર વિભાગને સાંજે 6.55 વાગ્યે વિસ્ફોટની જાણકારી મળી હતી, જેના પગલે અનેક ફાયર ટેન્ડર સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. જોકે, વિસ્ફોટ એટલો ઘાતક હતો કે આજુબાજુની ઇમારતોના કાચ તૂટી ગયા હતા અને વીજ લાઈનો બંધ થઈ જતાં વિસ્તાર અંધકારમય બની ગયો હતો. ઘટનાસ્થળે કોઈ ખાડો ન મળતા અને ઘાયલોમાં છરાના નિશાન ન મળતાં પોલીસે આને બોમ્બ બ્લાસ્ટ કહેવાનું હજી ટાળ્યું છે. પોલીસનું માનવું છે કે આ મિકેનિકલ ફોલ્ટ અથવા અન્ય પ્રકારના વિસ્ફોટનું પરિણામ પણ હોઈ શકે છે, જોકે તેની પુષ્ટિ માટે ફોરેન્સિક તપાસ ચાલુ છે.
ફોરેન્સિક ટીમ સાથે એનઆઈએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી), એનએસજી (રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ) અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને પુરાવા એકત્રિત કરી રહ્યા છે. આ જ દિવસે દિલ્હીની બહારના વિસ્તારમાંથી આશરે 2900 કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત થઈ હતી, જેના કારણે આ બે ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે બાબતે તપાસ એજન્સીઓ ગંભીરતાથી તપાસ કરી રહી છે.
આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે અને સમગ્ર મામલાની વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ કમિશનર તેમજ દિલ્હી સરકારના મુખ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સમગ્ર દિલ્હી સહિત દેશના અન્ય મોટા શહેરોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.
Prime Minister Narendra Modi has taken stock of the situation in the wake of the blast in Delhi. He spoke to Union HM Amit Shah and took an update on the situation: GoI Sources pic.twitter.com/Hp9hZwFtho
— ANI (@ANI) November 10, 2025
ઘટનાના સાક્ષી બનેલા કેટલાક લોકોએ વિસ્ફોટનો ભયાનક દૃશ્ય વર્ણવતા કહ્યું હતું કે ધડાકો એટલો મોટો હતો કે આસપાસના લોકોના કાન બહેરા થઈ ગયા હતા અને હવામાં ધૂમાડો અને આગની જ્વાળા છવાઈ ગઈ હતી. એક સાક્ષીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી અચાનક એક માણસનો હાથ ઉડીને મારી પાસે પડ્યો હતો. બીજા એક દુકાનદારે કહ્યું હતું કે વિસ્ફોટની તીવ્રતા એવી હતી કે આખી ઇમારત હચમચી ગઈ હતી. અનેક લોકોએ કહ્યું કે આકાશ લાલ થઈ ગયું હતું અને રસ્તા પર શરીરના ટુકડા પડ્યા હતા.
હાલમાં પોલીસે વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દીધો છે અને તપાસ ચાલુ છે. ચાંદની ચોક અને લાલ કિલ્લા આસપાસનો વિસ્તાર મંગળવાર સુધી બંધ રાખવામાં આવ્યો છે. એનઆઈએ અને ફોરેન્સિક ટીમો વિવિધ નમૂના એકત્રિત કરી રહી છે જેથી વિસ્ફોટનું કારણ સ્પષ્ટ થઈ શકે. અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી, જેના કારણે આ ઘટના આતંકી હુમલો છે કે કોઈ અકસ્માત — તે હજી પણ એક મોટું રહસ્ય બની રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel