નર્મદા જિલ્લાના કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પૂર્વ બેઠકના નિર્ણયો તથા કાર્યવાહી નોંધને મંજૂરી અપાઈ હતી. બાદમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી વિવિધ પાણી પુરવઠા યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટર એ ગામડાઓમાં વર્ષ દરમિયાન નાગરિકોને શુદ્ધ પીવાના પાણીની કોઈ અડચણ ન સર્જાય તે બાબતને ધ્યાનમાં રાખી તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને ઓપરેટરની બાકી રહેલી નિમણૂકો ઝડપથી પૂર્ણ કરવી, પમ્પીંગ મશીનરીની નિયમિત અને યોગ્ય જાળવણી, પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી તેમજ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં સતત પાણીની ઉપલબ્ધિ રહે તે અંગે તાકીદ કરાઈ હતી.
કલેક્ટરએ નલ સે જલ મિત્ર કાર્યક્રમના અસરકારક અમલ, પાણી વિતરણ માટે સ્વસહાય જૂથોની બહેનોનો સમાવેશ અને તેમને સમયસર મહેનતાણું ચુકવાય તેની સુનિશ્ચિતતા માટે સંબંધિતોને સુચના આપી હતી. તેમણે વધુમાં સેચ્યુરેશન મોડમાં કામ કરવાની જરૂરિયાત પણ જણાવી હતી.
બેઠક દરમિયાન ઈ-ગ્રામ સુવિધા પોર્ટલ, પાણી વેરાની વસૂલાત, ઓપરેટરના વેતન, પાણી પુરવઠાની ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર 1916ની કામગીરી, તથા મરામત અને નિભાવણી પ્રોત્સાહન યોજનાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા યોજાઈ હતી.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિગત શૌચાલયો, કોમ્યુનિટી સોલ પિટ, કોમ્યુનિટી કંપોસ્ટ પિટ, સેગ્રિગેશન શેડ અને ઈલેક્ટ્રિક વાહનો મારફત કચરા નિકાલના મુદ્દાઓ પણ ચર્ચામાં લેવાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના કુલ ૫૬૨ ગામોમાંથી ૪૮૮ ગામોને જૂથ પાણી પુરવઠા યોજના(સરફેસ વોટર) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત ઝરવાણી જૂથ યોજના અંતર્ગત ૫૪ ગામો તથા સાગબારા-દેડિયાપાડા ફળિયા કનેક્ટિવિટી યોજના હેઠળ ૬ ગામોને જોડવામાં આવ્યા છે.
આ બેઠકમાં યુનિટ મેનેજર વાસ્મો, જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનના સભ્યોઓ તથા તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.