ભારતમાં નક્સલવાદ હવે તેના અંતિમ દિવસોમાં છે, કારણ કે માઓવાદી સંગઠનો સતત નબળા પડતા જાય છે. તાજેતરમાં CPI-માઓવાદી તરફથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે, જેમાં તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ એક મહિનાના સંઘર્ષવિરામ (Ceasefire) માટે ઑફર મૂકી છે. ‘અભય’ નામથી બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં (જે હકીકતમાં માઓવાદી નેતા મલ્લોજુલા વેણુગોપાલ રાવનું ઉપનામ છે) સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાર્ટીના મહાસચિવ બસવરાજુની પહેલ પર તેઓ શસ્ત્રો મૂકીને શાંતિ પ્રક્રિયામાં આગળ વધવા માંગે છે. માઓવાદીઓએ કહ્યું છે કે તેઓ એક મહિના સુધી શસ્ત્રો ન ઉઠાવવાની બાંહેધરી આપશે અને આ દરમ્યાન જેલમાં રહેલા તથા વિવિધ રાજ્યોમાં સક્રિય તેમના સાથી કાર્યકરો સાથે ચર્ચા કરીને આગળનો રસ્તો નક્કી કરશે. તેઓએ આ સમયગાળા દરમિયાન સરકારને પણ નક્સલ વિરોધી કાર્યવાહી રોકવા વિનંતી કરી છે.
નિવેદનમાં એવું પણ ઉમેરાયું છે કે બદલાતી રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તથા વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સહિતના દેશના વરિષ્ઠ નેતાઓ દ્વારા વારંવાર કરવામાં આવેલી મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલને ધ્યાનમાં રાખીને જ તેમણે આ નિર્ણય લીધો છે. માઓવાદીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ જાહેર હિતના મુદ્દાઓ પર કામ કરતા રાજકીય પક્ષો સાથે પણ જોડાવા તૈયાર છે અને સીધી વાતચીત માટે કેન્દ્રીય ગૃહમંત્રી અથવા તેમના પ્રતિનિધિ સાથે મીટીંગ કરવા તૈયાર છે.
છત્તીસગઢ પોલીસે જણાવ્યું છે કે આ પ્રેસ રિલીઝની સત્યતા ચકાસી રહી છે, કારણ કે ફોર્મેટ અગાઉની યાદીઓથી થોડું જુદું છે. તેમ છતાં, પોલીસનું કહેવું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર કોઈ અંતિમ નિર્ણય નહીં લે ત્યાં સુધી નક્સલ વિરોધી અભિયાન ચાલુ જ રહેશે.
ગૌરવપૂર્ણ વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની કડક કાર્યવાહીના કારણે નક્સલવાદી પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો થયો છે. 2024–25 દરમિયાન અનેક નક્સલ કમાન્ડરો ઠાર કરવામાં આવ્યા, જેમાં બસ્તરના ટોપ લીડર બસવરાજુનો પણ સમાવેશ થાય છે. સરકારની પુનર્વસન નીતિના કારણે હજારો માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે — માત્ર 2025ના પ્રથમ ચાર મહિનામાં જ 718 નક્સલીઓએ શસ્ત્રો મૂકી દીધા, જ્યારે 2024માં આ આંકડો 928 રહ્યો હતો. તાજેતરમાં જ એક કરોડના ઈનામી સહદેવ સોરેન સહિતના મોટા નક્સલીઓને ઠાર કરવામાં આવતા સંગઠન વધુ નબળું બન્યું છે.
આ પરિસ્થિતિમાં સ્પષ્ટ છે કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નક્કી કરાયેલ માર્ચ 2026ની ડેડલાઈન પહેલાં જ નક્સલવાદી સંગઠનો સમાપ્તી તરફ વધી રહ્યા છે. હવે તેઓ હથિયારો મૂકી શાંતિપ્રક્રિયામાં જોડાવાની તૈયારીમાં છે, જે ભારતના સૌથી મોટા આંતરિક સુરક્ષા પડકારનો અંત લાવવાનું સંકેત આપી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel