રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં મુસાફરોના લગેજ સંબંધિત ચર્ચાઓ પર સંપૂર્ણ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે “ભારતીય રેલવે મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી રીતે વધારાના લગેજ માટે એક્સ્ટ્રા ચાર્જ વસૂલે છે” એવો અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે. તેમણે કહ્યું કે, ટ્રેનમાં મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તેના નિયમો દાયકાઓથી જ અમલમાં છે અને તેમાં કોઈ નવો નિયમ તાજેતરમાં લાગુ કરવામાં આવ્યો નથી. રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને લગેજ અંગેની વ્યવસ્થા કાયમી છે, પરંતુ તેમાં કોઈ પ્રકારનો વધારો કે નવી શરતો મૂકવામાં આવી નથી.
અગાઉ આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રેલવે વિમાન સેવા જેવી જ પદ્ધતિ અપનાવીને લગેજ માટે વધારાનો ચાર્જ વસૂલી રહી છે. રિપોર્ટ્સમાં એ પણ જણાવાયું હતું કે મુસાફરોને મફતમાં નક્કી મર્યાદા મુજબ સામાન લઈ જવાની છૂટ છે, પરંતુ તેનાથી વધુ પર ચાર્જ વસૂલાશે. આ અહેવાલોમાં અલગ-અલગ કોચ માટે અલગ મર્યાદાઓ બતાવવામાં આવી હતી – જેમ કે, ફર્સ્ટ ક્લાસ એસીમાં 70 કિગ્રા, એસી સેકન્ડ ક્લાસમાં 50 કિગ્રા, થર્ડ એસી અને સ્લીપર ક્લાસમાં 40 કિગ્રા અને જનરલ ટિકિટ પર મુસાફરી માટે 35 કિગ્રા સુધીનો સામાન મફત લઈ જવાની મંજૂરી છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવાયું હતું કે, ઉત્તર રેલવે અને ઉત્તર-મધ્ય રેલવેએ લખનૌ, પ્રયાગરાજ, મિર્ઝાપુર, કાનપુર, અલીગઢ અને અન્ય કેટલાક મોટા સ્ટેશનો પરથી આ નિયમોને કડક રીતે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
રેલવેના સૂત્રો મુજબ, વધારાનો સામાન લઈ જવાથી કોચની અંદર મુસાફરોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે અને અન્ય મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત, વધુ સામાન સલામતી માટે જોખમરૂપ બને છે. આ કારણે મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત મર્યાદા પ્રમાણે જ સામાન સાથે લઈ જાય. જો સામાન વધારે હોય તો તેને બુક કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે, પરંતુ એ માટે દંડ લાદવાની બાબત સંપૂર્ણપણે ખોટી છે.
ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક લગેજ મશીનો સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહી છે, જેથી સામાનનું વજન સરળતાથી માપી શકાય. પ્લેટફોર્મ પર પ્રવેશતા પહેલા મુસાફરોના સામાનનું વજન તેમજ કદ બંનેની ચકાસણી કરવામાં આવશે. નિયમ મુજબ મુસાફરોને 10 કિગ્રા સુધીનો વધારાનો સામાન લઈને જવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તેનાથી વધુ પર સામાન બુક કરાવવું ફરજીયાત રહેશે. ખાસ વાત એ છે કે લગેજનું કદ પણ નિર્ધારિત મર્યાદામાં હોવું જોઈએ. જો બેગનું કદ વધુ હોય, તો દંડ લાદવાની સંભાવના છે, ભલે તે બેગનું વજન મર્યાદાથી ઓછું હોય.
લખનૌ ઉત્તર રેલવેના સિનિયર ડીસીએમ કુલદીપ તિવારીએ જણાવ્યું કે મુસાફરોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને લગેજ વ્યવસ્થા અમલમાં છે. આ પગલાંથી મુસાફરોને મુસાફરી દરમ્યાન મુશ્કેલી ન પડે અને રેલવે કોચોમાં સુવિધાજનક પરિસ્થિતિ જળવાઈ રહે એ હેતુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel