વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા (Disturbed Areas Act)ના ઉલ્લંઘનનો આરોપ લગાવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ આ મુદ્દે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તંત્ર સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટી અશાંતધારા હેઠળ આવરી લેવામાં આવી હોવા છતાં નિયમોનો ભંગ કરીને મિલકતનું વેચાણ કરવામાં આવ્યું છે.
સ્થાનિકોના આરોપ મુજબ ગાયત્રીનગર સોસાયટીમાં એક મિલકત અન્ય સમુદાયની વ્યક્તિને વેચવામાં આવી છે, જેના કારણે વિસ્તારના વસ્તી સંતુલન પર અસર થવાની શક્યતા છે. રહીશોએ આશંકા વ્યક્ત કરી છે કે આવાં સોદાઓ ભવિષ્યમાં સાંપ્રદાયિક તણાવ વધારવાનો જોખમ ઊભો કરી શકે છે. વિરોધ દરમિયાન લોકો પ્લેકાર્ડ્સ લઈને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા અને તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી.
પ્રદર્શનકારીઓએ અશાંતધારા નિયમો વિરુદ્ધ થયેલા મિલકત હસ્તાંતરણને તરત જ રદ કરવાની માંગ કરી છે. સાથે જ આ સોદાને મંજૂરી કેવી રીતે મળી અને તેમાં કયા અધિકારીઓની સંડોવણી હતી તેની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. રહીશોએ ગોરવા અને આસપાસના વિસ્તારોમાં અશાંતધારાનું કડક પાલન સુનિશ્ચિત કરવા તંત્રને અપીલ કરી છે.
અશાંતધારો શું છે?
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલો અશાંતધારો મુખ્યત્વે સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારોમાં વસ્તીના ધ્રુવીકરણને અટકાવવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાયદા મુજબ મિલકત વેચનાર અને ખરીદનાર બંનેએ સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી લેવી ફરજિયાત છે. કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે કે સોદો કોઈ દબાણ, લાલચ અથવા ગેરરીતિ હેઠળ થયો છે કે નહીં. જો તંત્ર સંતોષ પામતું ન હોય તો વેચાણની મંજૂરી નકારી શકાય છે.
હાલમાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ શાંત રાખવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રહીશોએ આ મામલે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel